શંખ સર્કલ પાસે ડિમોલીશનના પગલે ઘર્ષણથી તંગદીલી : પોલીસે લાઠી ચાર્જ કરી ટીયર ગેસના 3 સેલ છોડાતા અંતે ટોળું વિખેરાયું: અન્ય રહેણાક, વ્યાપારી દબાણો પણ હટાવાયા
વેરાવળ, : સોમનાથમાં શંખ સર્કલ પાસેઆજે તંત્ર દ્વારા સવારથી ડિમોલીશન કામગીરી હાથ ધરાઈ હતી. સરકારી જગ્યામાં ખડકાયેલા મકાનો, દુકાનો, તોડવામાં આવ્યા બાદ ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અ.કત્ર થયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા તેમાં પીઆઈ સહિત બે પોલીસ કર્મીને ઈજા થઈ હતી. ટોળાને વિખેરવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના ૩ સેલ છોડાયા હતા. ઘર્ષણના બનાવના પગલે સોમનાથમાં તંગદીલી વ્યાપી હતી.
સોમનાથ ખાતે શંખ સર્કલ પાસે સરકારી જમીનમાં ખડકાઈ ગયેલા દબાણો દૂર કરવા વહિવટી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાયું હતું. 100 જેટલા પોલીસ કર્મીના કડક બંદોબસ્ત વચ્ચે ૯ મકાનો તથા બે દુકાનો મળી ૧૧ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી.
ત્યાર બાદ સાંજના અરસામાં શંખ સર્કલ પાસે સરકારી જમીનમાં ખડકાયેલું ધાર્મિક દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાએ ઉગ્ર બની પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પીઆઈ એમ. વી. પટેલ તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.
દરમિયાન પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો તથા ટીયર ગેસના 3 શેલ છોડાયા હતા. અને ટોળાને વિખેરવામાં આવ્યું હતું. તમામ લોકો વિખેરાઈ જતા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. જોકે બનાવના પગલે સોમનાથમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. બનાવના પગલે તંત્રએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. એસ.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.


