મનરેગા કૌભાંડ : ભાજપ મંત્રી બચુ ખાબડની જમીનો પર કામ કર્યા વિના 3 કરોડની ચૂકવણીનો આરોપ
MNREGA Scheme Dahod : દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડને પગલે સરકારને ગળે હાડકું ભરાયું છે. અત્યાર સુધી મંત્રીપુત્રો સામે આરોપ ઘડાયાં છે ત્યારે હવે ખુદ મંત્રી બચુ ખાબડ સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, મંત્રી ખાબડની જમીનો પર વિકાસના કામો કરાયા નથી તેમ છતાંય રૂ.3 કરોડ ચૂકવાયાં છે.
ચેકડેમ, વનીકરણ, કુવા સહિતના કામો કરાયાં નહી તેમ છતાંય લાખો રૂપિયા ચૂકવી દેવાયાં
દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં 498 જેટલા સર્વે નંબરો છે જે પૈકી 12 સર્વે નંબરના માલિક કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ છે. અન્ય સર્વે નંબરની જમીન પોતાના પરિવારના નામે છે. આ બધીય જમીનો પર મનરેગાના કામો કરવામાં આવ્યા છે તેવું કાગળ પર દર્શાવાયું છે પણ સ્થાનિકોની લેખિત ફરિયાદ છે કે, મંત્રી અને પરિવારની જમીનો પર કોઇ કામ કરાયાં નથી.
મહત્વની વાત છે કે, કૂવા, ચેકડેમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ઉપરાંત વનીકરણના કામો માટે વર્ક ઓર્ડર પર અપાયાં છે. એટલું જ નહીં, ક્યા સર્વેની નંબરની જમીન પર કયા કામો થયાં છે તે મનરેગાના પોર્ટલ પર વિગતો ઉપલબ્ધ છે. સ્થાનિકોનું કહેવુ છે કે,આ સર્વે નંબરની જમીનો મંત્રી અને તેમના પરિવારની છે. જે કામો મંજૂર કરાયાં છે તે પેટે રૂ. 3 કરોડ ચૂકવાયાં છે તેવો વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે, જો નિષ્પક્ષ તપાસ થાય તો મંત્રીના તેમના પરિવાર અને ભાજપના સ્થાનિક નેતાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.
ચાવડાએ માંગ કરી કે, આજે પણ મંત્રી બિન્દાસ ફરે છે, સરકારી સવલતો, ભોગવે છે. એટલુ જ નહીં, તપાસને દબાવવા પ્રયાસ કરે છે. જ્યારે ઉલટાનું જે લોકો ફરિયાદ કરે છે તેમને ધમકીઓ આપવામાં આવે છે. ચાવડાએ સવાલ ઉભા કર્યાં છે કે, મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ ઉજાગર થયું છે.
ત્યારે ઇડી-ઇન્કમટેક્ષના અધિકારીઓને પણ પૂછવું છે કે કોની રાહ જુઓ છો, કોના આદેશ પછી તપાસ કરાશે. અત્યાર સુધી તપાસ શરૂ ન થતાં ભાજપના જે સાંસદ વસાવા કહે છે કે તલાટી થી લઈને મંત્રી સુધી સરકાર આમાં સામેલ છે એ સ્પષ્ટ સાબિત થાય છે.