- ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રથી ખળભળાટ
રાજકોટ, તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર
રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ લોકોના ડૂબેલા નાણા કટકી લઈને વસૂલી આપતા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે જેમના સામે આક્ષેપ થયા છે તે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતે જ પ્રેસ કોન્ફરન્સમાં જેમના સામે આક્ષેપ થયા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોતાને પત્રકારો દ્વારા જ આવા પત્રની જાણ થઈ છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ એવો સવાલ પણ કરવામાં આવ્યો હતો કે, રાજકોટમાં ઝીરો ક્રાઈમ રેટ પાછળ પોલીસ ખાતા દ્વારા આ પ્રકારે ફરિયાદ ન નોંધવાની રીત જવાબદાર છે કે કેમ.
એક કિસ્સામાં તેમણે કુલ 15 કરોડની ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિની એફઆઈઆર ન નોંધીને ઉઘરાણીનો હવાલો રાખ્યો હતો અને જે ઉઘરાણી પાછી આવે તેમાંથી 15 ટકા હિસ્સો લીધો હતો.
તેમણે પોતાના પીઆઈ મારફતે 75 લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરાવી લીધા બાદ વધુ 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે પીઆઈ દ્વારા ફોન કરાવ્યા હતા. આ અંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો જેને લઈ ભારે ખળભળાટ મચ્યો છે.
પત્રમાં લખ્યું છે કે, આશરે 8 મહિના પહેલા રાજકોટના મહેશભાઈ સખીયા સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ કેસમાં એફઆઈઆર દાખલ કરવાના બદલે ઉઘરાણીના 15 ટકા હિસ્સો માગીને રકમ પરત મેળવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. તે પ્રમાણે કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાન્ચે આશરે 7 કરોડ રૂપિયા જેટલી વસૂલાત કરી આપી હતી અને કમિશ્નરે પોતાના પીઆઈ મારફતે 75 લાખ રૂપિયા કમિશન પેટે મગાવી લીધા હતા. આ ઉપરાંત પીઆઈ દ્વારા 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન કરવામાં આવી રહ્યા હતા.

આ સમગ્ર મામલે ફરિયાદ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ 8 કરોડની ઉઘરાણીમાંથી કશું પણ પરત નહોતું આવ્યું અને પત્રમાં કમિશન પેટે ઉઘરાવવામાં આવેલી 75 લાખની રકમ પાછી અપાવવા વિનંતી કરવામાં આવી હતી.


