Gujarat

48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરાથી મળેલા કિશોરના વાલીઓને શોધવામાં મહારાષ્ટ્ર પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા ; બાળકને પિતાને સુપ્રત કરાયો

Summarized by AI; it may make mistakes. Check important info

48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન

Vadodara : વડોદરામાં ખોવાયેલા 13 વર્ષના બાળકનું 48 દિવસની સતત જહેમત અને વિવિધ એજન્સીઓના સંકલિત પ્રયાસો બાદ તેના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનર્મિલન કરાવવામાં આવ્યું છે. બાળકને સુરક્ષિત રીતે તેના પિતાને સુપ્રત કરવામાં આવતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.

તા. 24 એપ્રિલ, 2026ના રોજ ખોવાયેલા 13 વર્ષના બાળકને ચાઈલ્ડલાઈન અને રેલવે પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ (CWC)ના આદેશ અનુસાર તેને સમાજ સુરક્ષા સંકુલમાં રાખવામાં આવ્યો હતો. 

આ કિસ્સાની માહિતી આપતા સંસ્થાના અગ્રણી મેહુલ લાખાણીએ જણાવ્યું હતું કે, અહીં પ્રોબેશન ઓફિસર કમ કાઉન્સેલર દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે તે ઘરેથી ભાગીને આવ્યો છે અને તેનું ઘર મુંબઈના મુંબરા વિસ્તારમાં આવેલું છે.

પ્રારંભિક માહિતીના આધારે બાળકની બહેન ભરૂચમાં રહેતી હોવાનું જાણવા મળતાં તેને ભરૂચ લઈ જઈ પરિવારને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. ત્યારબાદ તા. 9 મેના રોજ ફરી કાઉન્સેલિંગ દરમિયાન બાળકે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે તેના મામા ઇકબાલ ખલીલ આરિફ બિલ્ડિંગ નજીક રહે છે અને નજીકમાં એક શાળા તથા પેટ્રોલ પંપ આવેલ છે. બાળકે પણ જણાવ્યું હતું કે તેના માતા-પિતા જલગાંવમાં રહે છે અને તે પિતા તથા મામા સાથે થયેલા ઝઘડાના કારણે ઘર છોડીને નીકળી ગયો હતો.

આ માહિતીના આધારે મુંબરા પોલીસ સાથે સંપર્ક સાધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તા.30 મેના રોજ મુંબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલએ જાણ કરી હતી કે બાળકનો ફોટો આરિફ બિલ્ડિંગ નજીક રમતા બાળકોને બતાવવામાં આવ્યો હતો. બાળકોની મદદથી બાળકના મામાનું ઘર શોધી કાઢવામાં આવ્યું અને ત્યારબાદ તેના માતા-પિતાનો સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મળી હતી.

બાળકના વાલીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને બાળક સુરક્ષિત રીતે વડોદરામાં હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકના પિતા તા.12 જૂન, 2026ના રોજ વડોદરા આવ્યા હતા. બાળક અને તેના પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકની યોગ્ય કાળજી રાખવા, તેને પ્રેમથી સમજાવવા, ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવા તથા તેના અભ્યાસ પર ધ્યાન આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળકને તેના પિતાને સુપ્રત કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનોએ બાળકને શોધી કાઢવા અને પરિવાર સાથે મિલન કરાવવામાં મદદરૂપ બનેલા સમાજ સુરક્ષા સંકુલ, ચાઈલ્ડલાઈન, રેલવે પોલીસ તેમજ મહારાષ્ટ્ર પોલીસના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.