જેલમાંથી બહાર આવતા મંત્રી પુત્ર કિરણની ફરીથી ધરપકડ
લવારીયા ગામે મનરેગા કૌભાંડમાં કિરણની ભૂમિકા ઃ ૭૯ પૈકી ૨૧ કામો કાગળો પર બતાવ્યા
દાહોદ તા.૨૮ દાહોદમાં મનરેગા કૌભાંડમાં બંને મંત્રીપુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કરી લેતા દાહોદ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. ધાનપુર તાલુકાના લવારીયા ગામે મનરેગાના ૭૯ જેટલા કામોમાં ૨૧ કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
દાહોદ જિલ્લામાં બહુચચત રૃા.૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારબાદ ગઈકાલે બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ૫૦૦૦૦ ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી. આજે સુનાવણી બાદ કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીનમુક્ત કર્યા હતા.
સાંજે સબ જેલ ખાતે બંને મંત્રીપુત્રો જેલમુક્ત થતા પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો. જ્યારે કિરણ ખાબડની ધરપકડ કરી લીધી છે. ધાનપુરના લવારીયા ગામે મનરેગાના કામોની તપાસ દરમિયાન ૭૯ કામોમાંથી ૨૧ કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. લવારીયા ગામે મનરેગાના ૨૧ કામોમાં ૧૮.૪૧ લાખના કૌભાંડમાં જે તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ તે દિશામાં પોલીસ હવે આગળ વધી છે.