દાહોદના કૌભાંડમાં ત્રીજી ફરિયાદ રાજ્યના મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર બળવંતની બીજા કૌભાંડમાં ધરપકડ
બે દિવસ પહેલાં જ જામીન મળ્યા હતાં ઃ પોલીસે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
દાહોદ તા.૧ દાહોદમાં મનરેગા કૌભાંડમાં પોલીસે ત્રીજી ફરિયાદ દાખલ કરી છે. ધાનપુર તાલુકાના ભાણપુર ગામમાં ૧૧ કામો કાગળ ઉપર બતાવી રૃા.૪૯.૯૩ લાખના ભ્રષ્ટાચાર અંગેની ત્રીજી ફરિયાદના આરોપી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ .પીપેરોના પ્રોપરાઇટર બળવંત ખાબડની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
દાહોદના બહુચચત મનરેગા કૌભાંડમા હવે ફરિયાદો અને ધરપકડનો દોર શરૃ થયો છે. અગાઉ દેવગઢબારિયા અને ધાનપુરના ત્રણ ગામોમાં આચરાયેલા રૃા.૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે મંત્રી પુત્રો સહિત ૧૪ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં મંત્રીના બંને પુત્રોને જામીન મળ્યા બાદ પોલીસે વધુ બે ગુના દાખલ કરી બંનેની અલગ અલગ ગુનામાં ધરપકડ કરી છે. અગાઉ દેવગઢ બારીયાના લવારીયા ગામના કૌભાંડમાં મંત્રી પુત્ર કિરણ ખાબડની જેલ બહારથી જ ધરપકડ કરી હતી. અને કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
દરમિયાન ધાનપુરના ભાણપુરમાં પણ મનરેગા કૌભાંડ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા બીઆરડીએના નાયબ ચીટનીશે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં મંત્રી પુત્ર બળવંત ખાબડની એજન્સી શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુ.પેપરોએ માલ સપ્લાય કર્યા વગર જ રૃા.૩૩ લાખ ઉપરાંતના બિલો પાસ કરાવી લીધા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે જામીન મળ્યાના બે દિવસ બાદ તુરંત નવા ગુનામાં બળવંત ખાબડની ધરપકડ કરી આજે જજના બંગલે રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.