Gujarat

મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ

By GS TEAM
10 Oct 20251 min read
મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ

ત્રણ ખેતરમાં પાણી ફરી વળતા મગફળી કપાસને નુકસાન

અગાઉ પાંચથી છ વખત વાલ્વ તૂટી ગયાનો ખેડૂતોનો આક્ષેપ ઃ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરમુળી તાલુકાના રામપરડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઈપલાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રની બેદરકારી સામે આવી હતી. જ્યારે બેથી ત્રણ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળતા પાકને નુકસાન પણ થયું હતું.

સુરેન્દ્રનગરથી જામનગર તરફ જતી નર્મદા વિભાગની મુખ્ય પાણીની પાઈપલાઈનનો મુળી તાલુકાના રામપરડા ગામ પાસે વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને આ પાણી આસપાસના બે થી ત્રણ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોએ મહામહેનતે કરેલ મગફળી, કપાસના પાકને નુકશાન પહોંચ્યું હતું. ચોમાસામાં પાણીની મુખ્ય પાઈપલાઈમાં પાંચ થી છ વખત વાલ્વ તૂટી જવાના બનાવો બન્યા હોવાનો ખેડૂત આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે અવાર નવાર નર્મદાની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા અથવા વાલ્વમાં ખામી સર્જાવવાના બનાવો બનતા ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોને થયેલ નુકશાન અંગે વળતર ચૂકવવાની પણ માંગ કરી હતી. આ બનાવ અંગે ખેડૂતો અને ગામના આગેવાનોએ નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરતા મોડે મોડે સ્થળ પર પહોંચી પાણીનો પ્રવાહ બંધ કરાવી રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.