mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કલોલના ગટેહરા તળાવમાં ઠલવાતા દુષિત પાણીથી યાયાવર પક્ષીઓ-ઘટાદાર વડના વૃક્ષ પર જોખમ

નગરપાલિકાના ઓક્સિડેશન પોન્ડના પાણીથી આસપાસની જમીન પણ પ્રદૂષિત બની

Updated: Oct 13th, 2023

કલોલના ગટેહરા તળાવમાં ઠલવાતા દુષિત પાણીથી યાયાવર પક્ષીઓ-ઘટાદાર વડના વૃક્ષ પર જોખમ 1 - image



કલોલ: (Kalol)કલોલમાં આવેલ ગટેહરા તળાવમાં સુએઝના ગંદા પાણીને કારણે વર્ષો જુનો વડલો નામશેષ થઇ જવાના આરે ઉભો છે. ગટરના પાણીને કારણે દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓ બંધ થઇ ગયા છે. (Bird Home)ત્યારે વડના વૃક્ષ પર જોખમ સર્જાતા પ્રકુતિપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.(Kalol Nagarpalika) આ તળાવમાં છોડાતા ગંદા અને પ્રદુષિત પાણીને બંધ કરવાની માંગણી જોર પકડી રહી છે.(banyan tree)આ વૃક્ષ નહી રહે તો ત્યાં વસવાટ કરતા પક્ષીઓનું કુદરતી ઘર છીનવાઈ જવાનો ડર છે. 

વસવાટ કરતા પક્ષીઓનું કુદરતી ઘર છીનવાઈ જવાનો ડર

કલોલના પલસાણા રોડ પર ગટેહરા પક્ષી ક્ષેત્ર આવેલ છે. શિયાળા દરમિયાન વર્ષોથી અહી મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે. તેમને જોવા પક્ષીપ્રેમીઓ ઉમટી પડતા હોય છે. જોકે કલોલ નગરપાલિકાએ વર્ષોથી ઓક્સિડેશન પોન્ડનું ગંદુ પાણી તળાવમાં ઠાલવતા હવે પક્ષીઓ આવતા ઓછા થઇ ગયા છે. પ્રદુષિત પાણીને કારણે પક્ષીઓ પર પ્રતિકુળ અસર પડી હતી. સતત છોડાતા દુર્ગંધયુક્ત પાણીને કારણે તળાવની સપાટી વધી છે જ્યારે યાયાવર પક્ષીઓને છીછરું પાણી માફક આવે છે જેથી પક્ષીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. 

ગટરના દુષિત પાણીને કારણે વડ પર જોખમ ઉભું થયું

આ તળાવને કિનારે વડનું વિશાળ વૃક્ષ આવેલું છે. ગટરના દુષિત પાણીને કારણે વડ પર જોખમ ઉભું થયું છે. શિયાળા દરમિયાન આ ક્ષેત્રમાં ગ્રેટર ફ્લેમિંગો,લેઝર ફ્લેમિંગો,પર્પલ સ્વેમ્પ હેન,સ્પૂન બીલ,સેન્ડ પાઇપર,ગ્લોસી ઇબીસ,ગ્રેટર પેઇન્ટેડ સ્નાઇપ,કોમન સ્નાઇપ,ગ્રીન શૃંક,પર્પલ હેરોન,પર્પલ સન બર્ડ,લિટલ રીન્ગડ પ્લોવર વગેરે જેવા દુર્લભ પક્ષી વસવાટ તેમજ સંવનન માટે આવતા હોય છે. ગટરના પ્રદુષિત પાણીથી તેમનું રહેઠાણ છીનવાઈ રહ્યું છે જેને કારણે અહીં આવતા ગંદા પાણીને બંધ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.બીજી તરફ કલોલથી પલસાણા તરફ જતા માર્ગ પર જ ચેનલો મારફતે પાણી વહેતું હોવાથી વાહનચાલકોને માથું ફાડી નાંખે તેવી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. 

મામતલદાર કલોલને પણ કલેકટર દ્વારા નોટીસ ફટકારાઈ

ગટેહરા પક્ષી ક્ષેત્રમાં પ્રકૃતિનો સોથ વાળી દેવાયા બાદ કલોલ નગરપાલિકા દ્વારા નવા સુએઝ પ્લાન્ટની કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિકો દુષિત પાણી છોડવાનું બંધ કરવા વહીવટી તંત્રમાં અનેક રજૂઆત કરી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા કલેકટર ગાંધીનગર દ્વારા નગરપાલિકાને અનેક વખત નોટીસ આપવામાં આવી છે તેમ છતાં પાલિકાના પેટનું પાણી હલી રહ્યું નથી. બીજી તરફ આ મામલે મામતલદાર કલોલને પણ કલેકટર દ્વારા નોટીસ ફટકારાઈ છે તેમ છતાં કોઇપણ જાતની તપાસ હાથ ધરવામાં આવી ન હોવાનો આક્ષેપ થયો છે. 

વન વિભાગના બોર્ડ પર કુચડો ફેરવી દેવાયો 

કલોલના ગટેહરા તળાવમાં યાયાવર પક્ષીઓના વસવાટને કારણે વન વિભાગ દ્વારા 'ગટેહરા પક્ષી ક્ષેત્ર' નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેથી પક્ષીપ્રેમીઓને આ તળાવ તરફ જવાની માહિતી મળતી હતી. પરંતુ થોડા સમય અગાઉ વન વિભાગના બોર્ડ પર કુચડો ફેરવી દેવામાં આવ્યો છે. તળાવની દિશા ચિંધતા બોર્ડ પર ખાનગી લોકો દ્વારા અન્ય માહિતી લખી દેવામાં આવી છે જેને પગલે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વડના વિશાળ વૃક્ષને કારણે અહીનું નામ વટેહરા તળાવ હતું. પરતું સતત ગંદકીયુક્ત ગટરનું પાણી ઠાલવવામાં આવતા ધીરે ધીરે ગટેહરા તરીકે ઓળખાવા લાગ્યું હતું. પ્રદુષિત પાણીને કારણે તળાવે તેની ઓળખ ગુમાવી દીધી છે. ગટેહરા પક્ષી ક્ષેત્રનો શૂન્ય વિકાસ છે. તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તો એક સુંદર સ્થળ બની શકે તેમ છે. 

કલોલના ગટેહરા તળાવમાં ઠલવાતા દુષિત પાણીથી યાયાવર પક્ષીઓ-ઘટાદાર વડના વૃક્ષ પર જોખમ 2 - image

Gujarat