Gujarat

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત

By GS TEAM
1 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોટા પીર ચોક વિસ્તારમાં ગત મોડી રાત્રે એક જૂનવાણી અને જર્જરિત મકાનનો છતનો હિસ્સો ધડાકાભેર ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં નીચેના ભાગમાં રહેતા એક મહિલા સહિત બે વ્યક્તિઓ કાટમાળમાં દટાયા હતા, જ્યારે ઉપરના માળે રહેતા એક મહિલા અને બે બાળકોનો આબાદ બચાવ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત

Jamnagar News: જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોટા પીર ચોક વિસ્તારમાં ગત મોડી રાત્રે એક જૂનવાણી અને જર્જરિત મકાનનો છતનો હિસ્સો ધડાકાભેર ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં નીચેના ભાગમાં રહેતા એક મહિલા સહિત બે વ્યક્તિઓ કાટમાળમાં દટાયા હતા, જ્યારે ઉપરના માળે રહેતા એક મહિલા અને બે બાળકોનો આબાદ બચાવ થયો હતો.


બે ઇજાગ્રસ્ત, પાંચનો બચાવ

મળતી માહિતી અનુસાર, જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોટા પીર ચોક વિસ્તારમાં મોડી રાતે બનેલી આ ઘટનામાં મકાનનો જર્જરિત ઉપરના માળનો હિસ્સો ધસી પડ્યો હતો. જેમાં નીચેના ભાગમાં રહેતા 58 વર્ષીય રજીયાબેન સાટી અને 61 વર્ષીય હુસેનભાઈ સાટી કાટમાળને કારણે નાની-મોટી ઈજાઓ થતાં દટાયા હતા રજીયાબેનને કપાળ અને નાકના ભાગે ઇજા થતાં તે લોહીલુહાણ બન્યા હતા. 108ની ટીમ દ્વારા તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં રજીયાબેનની આગળની સારવાર ચાલી રહી છે.

મકાનના પહેલા માળે રહેતા શકીનાબેન અને તેમની ત્રણ વર્ષની પુત્રી નાઈઝા તેમજ માત્ર ત્રણ મહિનાની નાની બાળકી સહિત કુલ પાંચ વ્યક્તિને સમયસર રેસ્ક્યુ કરી લેવાયા હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

આ પણ વાંચો: કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, જયંતિ ડામોર, એપલ વારા સહિતની ટીમે તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ પડવાના કારણે મકાનનો દરવાજો ખુલી શકે તેમ નહોતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે મકાનની બારી કાપીને સૌપ્રથમ ઇજાગ્રસ્ત રજીયાબેન અને હુસેનભાઈને બહાર કાઢ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનો કાટમાળની વચ્ચેથી ઉપરના માળે પહોંચી ગયા અને ત્યાં રહેલી મહિલા શકીનાબેન અને તેમની બંને પુત્રીઓને બારીમાંથી એક પછી એક સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ઉપરાંત, એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જર્જરિત મકાનનો અન્ય હિસ્સો પણ તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.