ચારદિકા ગામના પાટિયા પાસે બસ અને બાઈક અથડાતાં આધેડનું મોત
- એસટી બસના ચાલક વિરૂદ્ધ ખુંટવડા પોલીસમાં ફરિયાદ નોંધાઇ
- નાના આસરણા ગામે રહેતાં આધેડ બાઈક લઈને મહુવાથી ઘરે પત ફરતા હતા ત્યારે અકસ્માત નડયો
ભાવનગર : મહુવાના ચારદિકા ગામના પાટિયા નજીક એસટી બસ અને બાઈક અથડાતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મહુવા તાલુકાના નાના આસરણા ગામે રહેતા પુંજાભાઈ ભીમાભાઈ નકુમ પોતાનુ મોટર સાયકલ લઈ મહુવાથી નાના આસરાણા ગામે પરત આવતા હતા ત્યારે દુધાળા નં.૨ ગામથી આગળ ચારદિકા ગામના પાટિયા બાજુ સામેથી આવી રહેલી જુનાગઢ મહુવા રૂટની એસ.ટી.બસ નંબર જીજે.૧૮.જેડ.૮૦૯૦ના ચાલકે પોતાની બસ બેફિકરાઈથી ગફલતભરી રીતે અને માણસની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી મોટર સાયકલ સાથે અથડાવી હતી. જેના કારણે બાઈકચાલક આધેડને માથા તથા કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવને અંગે મૃતકના મોટભાઈ ખીમાભાઈ નકુમે એસ ટી બસના ચાલક વિરૂદ્ધ ખુંટવડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.