Jamnagar : જામનગર શહેર જિલ્લા સહિત હાલારના નભોમંડળમાં સિંહ રાશિની ઉલ્કા-વર્ષા તા.16 ને રવિવાર અને તા.17 ને સોમવારના રાત્રીના આકાશમાં રહેલા સિંહ રાશીના મુખમાંથી ચારેય દિશામાં ઉલ્કાઓ ખરતી દેખાશે. મધ્ય રાત્રી બાદ આકાશમાં સિંહ રાશીના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રીથી વહેલી સવાર સુધી પ્રતિ કલાકમાં 15 થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે.
જોકે શહેરના લાઇટ અને પોલ્યુશનવાળા વાતાવરણથી દુર અંધારામાં આ ઉલ્કાવર્ષાનો નઝારો વધારે સારી રીતે માણી શકાશે. જ્યારે કોઈ ધુમકેતુ પોતાના સૂર્યની આસપાસના પરિભૃમણ દરમ્યાન થોડા અવશેષો છોડી અનંત યાત્રાએ નીકળે પડે છે, અને આપણી પૃથ્વી જ્યારે આ ત્યજી દીધેલ અવશેષોની નજદીકથી પસાર થાય છે, ત્યારે આ અવશેષોના થોડા કણો પૃથ્વીના ગુરૂત્વાકષણમાં ખેંચાઇને ઘર્ષણ અને વધુ સ્પીડને કારણે તેજ લીસોટાના સ્વરૂપમાં પરીણમે છે, અને આની સંખ્યા વધારે હોય તો ઉલ્કા-વર્ષા કહેવામાં આવે છે.
સિંહ રાશિની આ ઉલ્કા-વર્ષા 55 પી.-ટેમ્પલ ટટલ નામના ઘુમકેતુને આભારી છે. આ ઉલ્કા-વર્ષા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે. ખગોળ મંડળ જામનગર દ્વારા આ ઉલ્કાવર્ષા માણવા અને નરી આંખે તેનો નઝારો નિહાળવા માટે ખગોળપ્રેમીઓને અનુરોધ કરવામાં આવે છે.


