ડોક્ટર દંપતી અને ત્રણ સંતાનની આખરી સફરની સેલ્ફી વાયરલ,વડોદરા કર્મભૂમિ હતીઃ ગણેશોત્સવ પ્રિય હતો
વડોદરાઃ અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નવી જિંદગી શરૃ કરવા જઇ રહેલા ડોક્ટર દંપતી અને તેના ત્રણ સંતાનોની આખરી સેલ્ફી સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઇ છે ત્યારે બંને ડોક્ટર દંપતીની વડોદરા કર્મભૂમિ રહી હોવાની વિગતો જાણવા મળી છે.
મૂળ બાંસવાડાના રેડિયોલોજિસ્ટ પ્રતીક જોશી એક દાયકા પહેલાં થોડા વર્ષ વડોદરામાં બાપોદ વિસ્તારમાં રહ્યા હતા.તેમની પત્ની કોમી પણ સાથે હતી. પ્રતીકના મિત્ર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ,વડોદરાનો ગણેશોત્સવ તેનો ખૂબ પ્રિય હતો.તેના બાળકોને પણ તે ગણેશોત્સવની વાતો કરતો હતો.ઇલોરાપાર્કના હાથીની સવારીવાળા ઇન્દ્રપ્રસ્થ ગણેશોત્સવ સાથે તેને લગાવ હતો અને તે ડાન્સ પણ કરી લેતો હતો.
પ્રતીક વડોદરાથી અમદાવાદ શિફ્ટ થયો હતો અને ત્યાંથી ઉદેપુરની પેસિફિક હોસ્પિટલમાં પત્ની સાથે કામ કરતો હતો. તેમના પિતા પણ ઉદેપુરમાં રેડિયોલોજિસ્ટ છે.લંડન ગયા બાદ તે પત્ની અને ત્રણ બાળકોને લેવા બે દિવસ પહેલાં જ રાજસ્થાન આવ્યો હતો.તેની પત્નીએ પણ ચારેક દિવસ પહેલાં જ રાજીનામું આપ્યું હતું અને કાયમ માટે લંડન જતા હતા.
નવી જિંદગી શરૃ કરવા જઇ રહેલા પ્રતીક અને કોમીની સાથે પાંચ વર્ષના બે જોડીયા પુત્ર નકુલ અને પ્રદ્યુત તેમજ આઠ વર્ષની પુત્રી મિરાયા હતા.પ્લેન ઉપડતાં પાંચેય જણાએ સેલ્ફી લીધી હતી.જે તેમની આખરી યાદ બની ગઇ હતી.
ડો.પ્રતીકને વડોદરાનો ટેસ્ટ પસંદ હતો, ગરીબો માટે દાન પણ મોકલતો હતો
મિત્રો કહે છે,સિવિલહોસ્પિટલમાં કામ કરતી વખતે ક્યારેય તે થાકતો નહતો
યુકેમાં સ્થાયી થયેલા ડો.પ્રતીકને વડોદરા પ્રત્યે ખૂબ આત્મીયતા હતી અને તે અહીંના મિત્રો સાથે સંપર્કમાં પણ રહેતો હતો.
સયાજી હોસ્પિટલના એમઆરઆઇ સેન્ટરના રેડિયોલોજિસ્ટ ડો.પલક વાઘેલાએ ડો.પ્રતીક વિશે કહ્યું હતું કે,તે ખૂબ જ નિખાલસ અને ઉત્સાહિત હતો.કામ કરવામાં ક્યારેય થાકતો નહતો અને નવું શીખવા માટે સતત પ્રયત્નશિલ રહેતો હતો.
આ વિભાગના સંચાલક તરંગ શાહે કહ્યું હતું કે,પ્રતીકભાઇને વડોદરાની ખાણીપીણી ખૂબ પસંદ હતી.તેમણે કોરોના દરમિયાન ગરીબો અને એકલવાયી વ્યક્તિઓ માટે ટિફિન સર્વિસ માટે ડોનેશન આપ્યું હતું.ગયા જાન્યુઆરીમાં પણ તેણે ઓનલાઇન ડોનેશન મોકલ્યું હતું.