Gujarati Family stuck in Libya: દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લીબિયામાં ફસાયો છે. મહેસાણા જિલ્લાના બદલપુરા (મેઉ) ગામના પતિ-પત્ની સહિત તેમની 3 વર્ષની પુત્રી ગત 1 ડિસેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જવા માટે નિકળ્યા હતા. પરંતુ એજન્ટોએ પરિવારને છેતરીને યુરોપના બદલે લીબિયા મોકલી દીધો હતો. જ્યાં આ પરિવારનું અપહરણ કરીને એંકાત સ્થળે લઈ જઈને બંધક બનાવાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ આ લીબિયામાં ફસાયેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. 4થી ડિસેમ્બરના રોજ પરિવારને છોડાવવા માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારજનોને અપહરણ કરનારાઓ દ્વારા વોટ્સએપ પર મેસેજ કરાયો છે કે, '2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે.' આ ઘટનાની જાણ થતા જ બંધકના પરિવારજનોએ સમગ્ર મામલે મહેસાણા કલેક્ટર જોડે મદદ માગી હતી.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદની માગ
મળતી માહિતી અનુસાર, ચાવડા કિસ્મતસિંહ ભરતસિંહ, ચાવડા હીનાબેન કિસ્મતસિંહ અને ત્રણ વર્ષની પુત્રી દેવાંશીને બંધક બનાવાયા છે. ત્યારે હવે ડરેલા પરિવારજનોએ તાત્કાલિક મહેસાણા કલેક્ટર કચેરીએ આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. દંપતિ અને બાળકી હેમખેમ પરત ફરે તેવી પરિવાની માંગ છે. આ સમગ્ર મામલે મહેસાણા કલેક્ટરે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે. જોકે, સાંસદ મયંક પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ત્યારે હવે વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને પરિવારને સુરક્ષિત ભારત પરત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

અપહરણ કરનારા લોકો પાકિસ્તાની હોવાનો પરિવારજનોનો દાવો
આ વચ્ચે હવે પરિવારજનોએ મોટો દાવો કરતા કહ્યું કે, અપહરણ કરનારા લોકો પાકિસ્તાની હતા અને તેઓ ઉર્દુ ભાષામાં વાત કરતા હતા. આ સાથે પીડિત પરિવારે સમગ્ર ષડયંત્રમાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા આ પરિવારને કોઈ પણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે.
પરિવારજનો પાસે 2 કરોડની ખંડણીની માંગ
શરૂઆતમાં અપહરણ કરનારાઓએ 54,000 ડોલરની ખંડણીની માંગ કરી હતી. ત્યારબાદ આ ષડયંત્રમાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે રૂપિયા 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.


