અમદાવાદના સરખેજ-જુહાપુરા રોડ પર મેગા ડિમોલિશન, મોડીરાત્રે JCB અને પોલીસનો કાફલો તૈનાત
Mega Demolition in Ahmedabad: અમદાવાદમાં ફરી એકવખત મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના સરખેજ-જુહાપુરા રોડ પર ગેરકાયદે બાંધકામ પર આજે(9 જુલાઈ) રાત્રે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરાઈ છે. જણાવી દઈએ કે, ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ પણ બેઠક કરી હતી.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો વિસ્તાર છે, તે રસ્તા પર બ્રિજ બનાવવાના રસ્તાને પહોળો કરવા માટે હાલ કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ JCB અને પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. આ સાથે AMCના અધિકારીઓ પણ હાજર છે. વિશાલા સુધીનો રસ્તા પરના બંને બાજુના ગેરકાયદે દુકાનો, સ્થાનિક રેસિડેન્સ અને ધાર્મિક સ્થાનોના બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
રાજકોટ-કચ્છને જોડતા આ રોડ પર હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે અને વારંવાર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. ત્યારે હવે આ રોડ પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેને લઈને રોડ પર નડતર રૂપ ગેરકાયદે દબાણો તોડી પડાશે. વર્ષોથી સરકારી જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામો હતા અને નોટીસ પણ અપાઈ હતી. ત્યારબાદ પણ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ચંડોળાની જેમ મેગા ડિમોલિશન મધ્યરાત્રીએ શરૂ કરી દેવાયું છે.