Gujarat

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતના હોદ્દેદારો દ્વારા નિરીક્ષણ

By GS TEAM
29 May 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં બે વર્ષ અગાઉ ચોમાસામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ થયેલા જાનમાલના ભારે નુકસાનને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ તંત્ર હવે આગોતરા તૈયારીમાં લાગી ગયું છે. શહેરમાં ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતના હોદ્દેદારો દ્વારા નિરીક્ષણ

Vadodara Corporation : વડોદરા શહેરમાં બે વર્ષ અગાઉ ચોમાસામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ થયેલા જાનમાલના ભારે નુકસાનને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ તંત્ર હવે આગોતરા તૈયારીમાં લાગી ગયું છે. શહેરમાં ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે.

શહેરમાં ફરી વખત પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે છેલ્લા બે વર્ષથી વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ કાચા-પાકા વરસાદી કાંસની સફાઈ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉપરવાસ અને હાઈવે તરફથી શહેરમાં પ્રવેશતા વરસાદી પાણીને રોકી જાંબુઆ તરફ ડાયવર્ટ કરવા માટે કાચા વરસાદી કાંસને આર.સી.સી. કાસમાં પરિવર્તિત કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે.

આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા આજે વહીવટી અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ દક્ષિણ ઝોનમાં સંયુક્ત સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મેયર સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, રૂપારેલ અને મસિયા કાંસની સફાઈની કામગીરી ઝડપથી ચાલી રહી છે, જેથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે અને ચોમાસામાં નાગરિકોને હાલાકી ન વેઠવી પડે.

મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ શહેરમાં મેનહોલ, કેચપીટ અને ચેનલ સહિત કુલ અંદાજે 1.30 લાખ લોકેશન પૈકી 1.16 લાખ લોકેશન પર પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીની કામગીરી આગામી 15 જૂન સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં ચાલી રહેલી પ્રિમોન્સૂન કામગીરીનો સતત તાગ મેળવવામાં આવી રહ્યો છે અને ચોમાસા પહેલા તમામ જરૂરી કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. સાથે જ નાગરિકો સાથે સીધો સંપર્ક સાધી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને કોઈ શંકા હોય તો તેનું નિવારણ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.