જેતપુર પંથક ઉપર માવઠાંનો માર : માર્કેટીંગ યાર્ડમાં મગફળી પલળી ગઈ
- અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને પડયા પર પાટું
- મોંઘા ભાવના બિયારણ-ખાતર પછી મહામહેનતે મગફળીનો પાક તૈયાર થયો
માવઠું વરસી જતાં હવે ખેડૂતોને ભાવ ઓછો મળશે
ગઈ કાલે જેતપુર પંથકમાં પડેલ કમોસમી વરસાદથી જેતપુર માર્કેટ યાર્ડમાં રહેલો મગફળીનો જથ્થો પલળી ગયો હતો. જેને લઈને ખેડૂતોને નુકસાન થયું છે. યાર્ડના પટમાં રહેલી મગફળી પલળી જતા અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલી મગફળીની ગુણી પલળી જતા ખેડૂતોને માર સહન કરવાનો વારો આવ્યો છે.બીજી તરફ કપાસનો જથ્થો પણ પલળી ગયો છે. જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોએ વલોપાત કરતાં કહ્યું કે મગફળી પલળી જતા હવે ૫૦ થી ૧૦૦ રૂપિયાની ઘટ આવશે. જેથી સરકારે કંઈક કરવું જોઈએ.
ભેડાપીપળીયા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મોડી રાત્રે કમોસમી વરસાદ આવતા માર્કેટીંગ યાર્ડમાં વેંચવા માટે લાવેલ મગફળી જથ્થો પલળી ગયો હતો. જેથી સરકારે કંઈક કરવું જોઈએ. મગફળી પલળી જતા વેપારી ભાવ ઘટાડશે. વરસાદના પગલે મણે ૫૦થી ૧૦૦ રૂપિયાની ઘટ આવશે. પેલા ૧૦૦૦ રૂપિયા આવતા હતા અને હવે ૯૦૦ થી ઓછો ભાવ મળશે.
અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે હવે કપાસમાં કંઈ છે.નહીં મગફળી પણ પલળી ગઈ છે. કપાસ પલળી જતા નુકસાન થયું છે. કમોસમી વરસાદ પડતા મોટુ નુકસાન થયું છે. માલ પલળે છે. તંત્રની ઢીલી નીતિના કારણે મગફળીનો પાક નષ્ટ થયો છે. પણ તંત્ર દ્વારા માલને સંગ્રહ તેમજ વરસાદથી બચાવવા માટેની કોઈ તૈયારીઓ કરાઇ ન હતી જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેડૂતોને તેમના તૈયાર માંલનો પૂરતો ભાવ પણ હવે નહિ મળે તેવી ખેડૂતએ પણ જણાવ્યું હતું . જેતપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેને બચાવ કરતા કહ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલા જ આવક બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ખેડૂતો દ્વારા જણસ વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય પરંતુ ૪૦૦ થી ૫૦૦ ગુણી મગફળી પલળી હોય જે વેપારીઓ દ્વારા સારો ભાવ આપીને ખરીદી લીધેલ છે.