-6 હાથી, 10 ઘોડા, 10 ઘોડી, ટેબ્લો, ઢોલ, શરણાઇ, જોડિયા પાવા, મંજીરા સહિતના સાધનોવાળા 12થી વધુ બેન્ડ વૃંદે આકર્ષણ જમાવ્યું
-લોકોએ રોડ, વાહનો,
ઘરની બારી, બાલ્કની, દુકાનો,
ઓવરબ્રિજ, ફૂટબ્રિજ, ફૂટપાથ
જ્યાં જગ્યા મળી ત્યાંથી વરઘોડાના દર્શન કર્યા
સુરત
શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત ૭૫ સામુહિક દીક્ષા ઉત્સવના ચોથા દિવસે સવારે વર્ષીદાનનો ભવ્ય વરઘોડો રાજમાર્ગ પર નીકળ્યો હતો. દયાળજી બાગ મજુરાગેટથી નીકળેલી યાત્રા ૮ કિલોમીટર અંતર કાપીને અધ્યાત્મ નગરી પહોંચી હતી. દોઢ કિલોમીટર લાંબી યાત્રા આખા સુરત માટે નજરાણું બની હતી. ૧ લાખથી વધુ લોકોએ વરઘોડાના દર્શન કર્યા હતા.
રવિવારની સવારે ૯ વાગ્યે શાસનની ધજા લહેરાવતો કીર્તિસ્તંભ શાહી વર્ષીદાન યાત્રાની આગેવાની કરતો હોય એ રીતે સૌથી આગળ શાનથી ચાલતો હતો. જેની પાછળ ધમ ધમ કરતા હાથીની સવારી હતી. છ હાથીઓની આકર્ષક સવારીની પાછળ ૧૦ ઘોડા અને ૧૦ ઘોડીઓની સવારી હતી. પછી બેન્ડવાજાની બઘડાટીએ વાતાવરણ ગજવ્યું હતુ. યાત્રમાં ત્રણ ટેબ્લોમાં દિક્ષાર્થીઓનાં ઉપકરણો હતા. જેની પાછળ શરણાઈ, ત્રાસા અને મંજીરાના નાદે લાકડીના કરતબ કરતા યુવાનો સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. યાત્રામાં ૭૫ દિક્ષાર્થીઓ માટે વિવિધ થીમ આધારિત કુલ ૯ બગી બનાવવામાં આવી હતી. રજવાડી બગીઓમાં સ્ટીમર, આર્મી ટેન્ક, રાજમહેલ, કિલ્લા વગેરે આકૃતિના ટેબ્લોમાં દિક્ષાર્થીઓ શોભી રહ્યા હતા અને યાત્રાના માર્ગમાં ઠેર-ઠેર વર્ષીદાન કર્યું હતું. તેમજ ઠેર-ઠેર યાત્રા અને દિક્ષાર્થીઓ ઉપર ક્રેઇન દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. આ સાથે વરઘોડામાં સાયકલમાં કરતબ, જોકર, રોબર્ટના પરિવેશમાં ચાલતા યુવાનો વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઢોલ, શરણાઈ, જોડિયા પાવા, મંજીરા વગેરે સંગીતના સાધનોવાળા ૧૨થી વધુ બેન્ડ વૃંદે અનોખો સંગીતનો માહોલ બાંધ્યો હતો. યાત્રાની શરૃઆતમાં વનિતા વિશ્રામથી વરઘોડાના દર્શન કરનાર યોગતિલકસૂરી મહારાજા સહિત સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો યાત્રામાં સૌથી છેલ્લે જોડાયા હતા. અને પાછળ ભગવાનનો રથ હતો. દયાળજી બાગથી શરૃ થયેલી યાત્રા અઠવાગેટ, પારલે પોઇન્ટ, રાહુલરાજ થઈને ૮ કિલોમીટરનું અંતર કાપીને અઘ્યાત્મ નગરી પહોંચી હતી. લગભગ દોઢ કિલોમીટર લાંબી યાત્રાના દર્શન માટે રોડ પર લોકોની ભીડ જામી હતી. વાહનચાલકો બે મિનિટ માટે વાહન થોભાવી દર્શન કરી રહ્યા હતા. તો માર્ગમાં દુકાનો, મોલ અને ઘરની બાલકની અને અગાશીમાંથી પણ લોકોએ દર્શનનો લહાવો લીધો હતો. રોડની સાઈડમાં અને ફૂટ બિજ ઉપર પણ લોકો વરઘોડો જોવા માટે ગોઠવાઈ ગયા હતા. ૧ લાખથી વધુ લોકોએ વરઘોડાના દર્શન કર્યા હતા. અનેક લોકોએ કહ્યું કે જીવનમાં આ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું એ ખરેખર નસીબની વાત છે.
-દિક્ષાર્થીઓના અંતિમ વાયણા
માટે 10 હજાર લોકોએ સાકર અર્પણ કરી
દિક્ષાર્થીઓના
અંતિમ વાયણાનો દરેક લાભ લઇ શકે એ હેતુથી સાકર અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું
હતું. ત્રણ દિવસમાં ૧૦ હજારથી વધુ લોકોએ સાકર અર્પણ કરી હતી. આ બધી સાકરનું પાણી
બનાવીને દિક્ષાર્થીઓએ અંતિમ વાયણામાં ગ્રહણ કર્યું હતું. વાયણા અગાઉ દિક્ષાર્થીઓના વિદાય તિલકના ચઢાવા
બોલાયા હતા. તથા મહોત્સવના લાભાર્થીઓનુ બહુમાન કરાયુ હતુ.તો સાંજે ૬.૩૦ વાગ્યે
સૃષ્ટિનો સર્વોચ્ચ નઝારો સમાન અવર્ણનીય, અકલ્પનિય અદ્વિતીય મહાપૂજા મહાભક્તિ થઈ
હતી. સંગીત અને નૃત્યના સંગમ સાથેની આ મહાપૂજા નિહાળવા આવેલા સૌ ભક્તિરસમાં
રીતસરનાં ડૂબ્યા હતા.
-આજે દીક્ષા, લોચનો અનોખો માહોલ
સર્જાશે
સિંહસત્વોત્સવમાં
પાંચમા અને અંતિમ દિવસે વહેલી સવારે ૪.૪૧ વાગ્યે ગુરૃ ભગવંતો તથા મુમુક્ષુઓનો દીક્ષા
મંડપમાં પ્રવેશ થશે. ૬.૪૮ વાગ્યે રજોહરણ પ્રદાન અને ૧૦.૦૮ વાગ્યે એક અલૌકિક આનંદના
અહેસાસ સમાન કેશલૂંચન થશે. આજ સુધી ન જોયેલો ન જાણેલો રૃંવાડા ઉભા કરી દેતો કેશલૂંચનનો
અદભુત માહોલ સર્જાશે. ત્યારબાદ ૧૦.૧૭ વાગ્યે અભયદાનની ઉદઘોષણાના ઓવારણાં થશે. ઉપસ્થિત
દરેક દિક્ષાર્થીઓને અક્ષતથી વધાવી શકશે. અને ૧૧.૧૬ વાગ્યે નામકરણ વિધિ થશે.


