Get The App

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફરિયાદ

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
Bodakdev Police

Ahmedabad News : અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે બ્રિજ પરથી રેલવે ટ્રેક પર ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર બનાવ અંગે પતિ અને સાસરિયા પક્ષ સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આત્મહત્યાના મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પતિ-સાસરિયાના ત્રાસથી કંટાળીને ત્રણ વર્ષના બાળક સાથે પરિણીતાનો આપઘાત

મળતી માહિતી મુજબ, અમદાવાદના સોલા બ્રિજ  પરની રેલવે ટ્રેક પર પરિણીતાએ તેના ત્રણ વર્ષના બાળક સાથે પડતું મૂકીને મોતને વ્હાલુ કર્યું હતું. આત્મહત્યાના બનાવ મામલે મૃતકના પરિવારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

પોલીસ ફરિયાદ મુજબ, પરિણીતાના વર્ષ 2016માં હસમુખ મકવાણા નામના યુવક સાથે લગ્ન થયા હતા. તેઓ સોલા બ્રિજ નીચે છાપરામાં રહેતા હતા. લગ્ન બાદ હસમુખ તેની પત્ની સાથે મારઝૂડ કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.  આ સાથે સાસુ શારદાબેન અને સસરા કનુભાઈ પણ પરિણીતા પર ત્રાસ ગુજારતા હોવાથી અંતે કંટાળીને બાળક સાથે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા

મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, અમારી દીકરી જ્યાં ઘરે આવતી ત્યારે સાસરિયા દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું જણાવતી હતી અને સાસરિયા વાળા તેને એમ કહેતા કે, 'તું જોઈતી નથી, મરી જા...' અંતે આ બધાથી કંટાળીને તેને ગત 21 નવેમ્બરના રોજ આપઘાત કર્યો હતો. પોલીસે મૃતકના પતિ અને સાસરિયા પક્ષ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.