Get The App

પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે 1 - image

5 દિવસથી સર્વરમાં ટેકનિકલ ક્ષતિ, ગાંધીનગર કોઇ સાંભળતું નથી : જરૂરિયાતમંદ- લાભાર્થીઓને દરરોજ રેશનીંગની દુકાને થતાં ધરમ ધક્કા : જ્યાં સુધી સર્વર પૂર્વવત કાર્ય કરતું નહીં થાય ત્યાં સુધી લોકોની હાડમારીનો પ્રશ્ન ઉકેલાશે નહીં

રાજકોટ, : દિવાળીના તહેવારો દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને રેશનીંગનું અનાજ સમયસર મળી રહે તેવા પ્રયત્નો રેશનીંગના ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી દરરોજ પુરવઠા તંત્રનું સર્વર બગડી જતું હોવાને લીધે આ વર્ષે રાજ્યના હજારો જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી બગડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

પુરવઠા તંત્રની અણઆવડતને લીધે સર્વરમાં સર્જાયેલી ટેકનીકલ ક્ષતિને કારણે રેશનીંગના ધંધાર્થીઓ જે મુશ્કેલી ભોગવી રહ્યા છે તે સંદર્ભમાં ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસીએશને જણાવ્યું કે સર્વરના મુદે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી દરરોજ ટેકનીકલ ક્ષતિ સર્જાતી રહી છે. આજે પણ પુરવઠા તંત્રને ફરિયાદ કરી જણાવ્યું છે કે દિવાળીના તહેવારો નજીક હોવાથી જરૂરિયાતમંદ પરિવારના સભ્યો દરરોજ રેશનીંગની દુકાને લાંબી લાઇનો લગાવે છે પરંતુ સર્વરના વાંકે કલાકો સુધી રાહ જોયા બાદ લાભાર્થીઓને અનાજ મળતું નથી.

રેશનીંગના ધંધાર્થીઓ દ્વારા આ મુદ્ે સરકારમાં રજૂઆત કરી જણાવાયું છે કે જ્યાં સુધી પુરવઠાતંત્રનું સર્વર યોગ્ય કામ નહીં કરે ત્યાં સુધી રેશનીંગના ધંધાર્થીઓને અનાજની ફાળવણી શક્ય નથી. રેશનીંગના ધંધાર્થીઓ માટે પણ આ સ્થિતિ પીડાદાયક છે કારણ કે દિવાળીના તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ નહીં મળવાથી રેશનીંગના ધંધાર્થીઓ જ બદનામ થાય છે. રાજ્ય સરકારે આ બાબતે સત્વરે કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે તેમ રજૂઆતના અંતે જણાવાયું છે.