Get The App

બજારમાં કેસર કેરીની આવક શરૂ, ગ્લોબલ વોર્મિંગના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો

Updated: Apr 3rd, 2025

GS TEAM

Google News
Google News
બજારમાં કેસર કેરીની આવક શરૂ, ગ્લોબલ વોર્મિંગના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો 1 - image

Mango Revenue in Market: જૂનાગઢ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવકના શ્રી ગણેશ થઈ ગયો છે. સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 200થી વધુ વધુ બોક્સ આવ્યા હતા અને દસ કિલોના બોક્સના 1200થી 1800 રૂપિયા લેખે વેંચાણ થયું હતું. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વખતે આંબામાં મથીયો રોગે દેખા દેના સામૂન્ય કરતા કેરી થોડી મોડી આવે એવી શક્યતા સેવાઈ રહી હતી પરંતુ અમુક આગોતરા આંબાઓ પર કેરી આવવા લાગી છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું છે.

આ વર્ષે કેસર કેરીનું સમયસર આગમન

માર્કેટિંગ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીનું સમયસર જ આગમન થયું છે. જો કે, નિયમીત કેરીની આવક થતા હજુ બે સપ્તાહ થાય તેવી શક્યતા છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું છે, જેમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી રહેશે તેવી શક્યતા છે. છેલ્લા 8-10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગની જે નકારાત્મક અસર થઈ રહી છે તેમાં સૌથી વધારે ગીરની કેસર કેરીના ઉત્પાદનમાં પણ જોવા મળી રહી છે. દર વર્ષે કેરીના ઉત્પાદનમાં થતો ઘટાડો તેમજ વારંવાર મોર ફૂટવા, કમોસમી વરસાદ અને રોગ જીવાતની વિપરીત પરિસ્થિતિમાં ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

ઊના પંથકમાં કેરીના પાકને નુકસાન

ઊના પંથકમાં પ્રતિકુળ હવામાનને લીધે મોરનું ફ્લાવરિંગ બળી જતાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી સર્વે કરી વળતર મળે તેવી માંગ કરી છે. ગરાળ, મોઠા, સંજવાપુર, સામતેર, કાણકબરડા, ઉટવાળા, પસવાળા, સનખડા, ગાંગડા, અંજાર, ખત્રીવાડા, પાતાપુર, આમોદ્રા, ઉમેદ સહિતના ઊના પંથકના ગામોના ખેડૂતો બાગાયત ખેતી પર નિર્ભર છે. કેરીના બગીચાઓમાં પ્રારંભીક તબક્કે આંબાના વૃક્ષો પર પુષ્કળ પ્રમાણમાં મોર ફુટી નીકળ્યા હતા. પરંતુ ત્યારબાદ ખરાબ વાતાવરણને લીધે મોરનું ફલાવરીંગ બળી જતા કેરીનું બંધારણ બને તે પહેલા જ ખરી જતા વ્યાપક નુકસાની થઈ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.

પ્રતિકુળ હવામાનથી કેરીના ફાલને માઠી અસર થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વર્ષે એક વખત કેરીનો પાક આવતો હોય છે, પરંતુ ફાલને માઠી અસર થવાને લીધે ખર્ચ અને ખાતરના પૈસા પણ મળે તેમ નથી તેમ ખેડૂતો ભોલી રહ્યા છે. આ બાબતે ઊના તાલુકાના ખેડૂતો અને આગેવાનાં દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

બજારમાં કેસર કેરીની આવક શરૂ, ગ્લોબલ વોર્મિંગના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો 2 - image