કપડવંજ તાલુકાની સગીરા પર દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની કેદ
ભોગ બનનારને 4 લાખ વળતર ચૂકવવા આદેશ
બાલાસિનોરના ભાથીજીના મુવાડાના શખ્સે ૨૦૨૧માં ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું
બાલાસિનોરના સરોડા ભાથીજીના મુવાડામાં રહેતા ગણેશભાઈ ઉર્ફે ગણપત ઈશ્વરભાઈ ચૌહાણ (ઉં.વ.૨૦)એ કપડવંજ તાલુકાની ૧૩ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી, ફોસલાવી તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અપહરણ કર્યું હતું. શખ્સ સગીરાને અમરેલીના લાઠી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ સામે વસુંધરા ઈન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નં.૪માં આવેલી અક્ષર ગંગા એગ્રો ફૂડ ફેક્ટરીની ઓરડીમાં રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાના પરિવારજનોએ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં આ કેસ સ્પેશિયલ પોક્સો સેશન્સ કોર્ટ, કપડવંજમાં ચાલી ગયો હતો. જેમાં સગીરાની જુબાની, મેડીકલ એવીડન્સ, સાહેદોની જુબાની તથા વકીલની દલીલોને ધ્યાને લઈ કપડવંજ સેશન્સ કોર્ટ જજ (સ્પે. પોક્સો) કે.એસ. પટેલે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૬,૫૦૦ દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ આરોપી દંડની રકમ ન ભરે તો વધુ પાંચ મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. તેમજ ભોગબનનારને ચાર લાખ રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.