Gujarat
નૈપ ગામે યુવકની હત્યા કરનારા શખ્સ એક દિવસના રિમાન્ડ પર
By GS TEAM
24 Jun 20251 min read

- સગીર પુત્રને રાજકોટ ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યો
- 3 દિવસ પૂર્વે યુવાનની હત્યા કરી ખારાંના પાણીમાં ફેંકી દીધો હતો
ભાવનગર : મહુવા તાલુકાના નૈપ ગામના યુવકની પ્રેમ સંબંધના મામલે યુવતીના પિતા-પુત્ર દ્વારા હત્યા કરી દીધાંના ચકચારી બનાવમાં પોલીસે હત્યાને અંજામ આપનારા પિતા - પુત્રની ધરપકડ કરી લીધી છે.જ્યારે હત્યારાને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર મહુવા તાલુકાના નૈપ ગામે પ્રેમ પ્રકરણના મામલે ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫)ની ગામમાં જ રહેતાં ગોરધન રાઘવભાઈ મકવાણા અને સગીર પુત્રએ ત્રણ દિવસ પૂર્વે હત્યા કરી હતી.બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઈ મોલાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ઉક્ત પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહુવા રૂરલ પોલીસે હત્યાને અંજામ આપનારા પિતા ગોરધન રાઘવભાઈ મકવાણા અને પુત્રને ઝડપી લીધા હતા.પિતા ગોરધનને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને રાજકોટ બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.








