અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત! અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં લગ્નેત્તર સંબંધોનું પરિણામ ફરી એકવાર લોહિયાળ સાબિત થયું છે. સુખી લગ્નજીવન હોવા છતાં એક પરિણીત મહિલાના પ્રેમમાં પડેલા યુવકને પોતાની જિંદગી ગુમાવવી પડી છે. જે મહિલા સાથે યુવકના પ્રેમસંબંધ હતા, તેના જ ભાણેજે યુવકની ઘાતકી હત્યા કરી નાખી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત!
અમદાવાદના ચાંદખેડાના ઝુંડાલ સર્કલ પાસેના આ બનાવમાં 12મી મેની રાત્રે જશમતસિંગ ઉર્ફે પિલ્લુસિંગ નામના યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. 13મીની વહેલી સવારે પોલીસને લાશ મળતા જ મૃતકની પત્ની અજીતકૌરને જાણ કરવામાં આવી. પત્નીના આક્ષેપ મુજબ, આ હત્યા પાછળ તેના પતિના એક પરિણીત મહિલા સાથેના અનૈતિક સંબંધો જવાબદાર છે.
અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર
પોલીસ ફરિયાદ મુજબ, મૃતક જશમતસિંગને છેલ્લા 4-5 વર્ષથી દિપકૌર સીકલીગર નામની મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આરોપ છે કે દિપકૌર અવારનવાર જશમતસિંગને પૈસા માટે બ્લેકમેઈલ કરતી અને તેના ભાઈ તથા ભાણેજ માનસિંગ ઉર્ફે બાદલસિંગ પાસે હત્યા કરાવવાની ધમકી આપતી હતી. 12મી મેના રોજ જ્યારે જશમતસિંગ દિપકૌરના ઘરે ગયો, ત્યારે ત્યાં હાજર ભાણેજ માનસિંગ સાથે તકરાર થઈ અને માનસિંગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જશમતસિંગને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા પાછળ માત્ર પ્રેમસંબંધ જ નહીં પણ ભૂંડ પકડવાના ધંધા બાબતે થયેલો ઝઘડો પણ કારણભૂત હતો. હત્યા કર્યા બાદ આરોપી માનસિંગ તેની માસી દિપકૌરને લઈને મહારાષ્ટ્ર ભાગી જવાના ઈરાદે ટ્રેનમાં બેઠો હતો. જોકે, દિપકૌર વડોદરા સ્ટેશને ઉતરી ગઈ અને મહેમદાવાદમાં પોતાના સંબંધીને ત્યાં છુપાઈ ગઈ હતી. જ્યારે માનસિંગ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ચાંદખેડા પોલીસે રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે દિપકૌરને મહેમદાવાદથી ઝડપી પાડી છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ હત્યામાં દિપકૌરની સીધી સંડોવણી છે કે માનસિંગે એકલા હાથે જ આ ગુનાને અંજામ આપ્યો છે. હાલ તો ફરાર માનસિંગને પકડવા માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.









