હળવદમાં રાતકડી મંદિરે જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી

- લીંબડીના વૃદ્ધ મેલડી મંદિરે એકલવાયું જીવન જીવતા હતા
- શરીરે જનાવરોના કરડવાના નિશાન મળતા લાશને પીએમ માટે મોકલી પોલીસની વધુ તપાસ
હળવદ : હળવદમાં રાતકડી જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી હતી. મૂળ લીંબડીના વૃદ્ધ ઘણા સમયથી મંદિરમાં એકલવાયું જીવન જીવતા હતા. મૃતકના શરીરે પર જનાવરોના કરડવાના નિશાન મળતા લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરાઈ છે.
હળવદમાં રાતકડી હનુમાનજી મંદિર જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં તા. ૧૮મીની મોડી રાતે કોહવાયેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. આજુબાજુમાં પૂછતા લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ એક અઠવાડિયાથી બીમાર હતો અને મોટા ભાગે મેલડી માતાજીના મંદિરે જ રહેતો હતો. કેટલાક સમયથી એકલવાયુ જીવન જીવતો હતો, જેની હળવદ પોલીસ દ્વારા તપાસ કરતા ઈશ્વરગીરી ઉર્ફે ઈશા ભાનુગીરી ગોસાઈ/ બાવાજી (ઉં.વ.૬૦ રહે. હાલ હળવદ ધ્રાંગધ્રા બાયપાસ રાતકડી હનુમાન રોડ મેલડી માતાના મંદિર પાસે મૂળ રહે. લીંમડી, જિ. સુરેન્દ્રનગર) હોવાનું જણાયું હતું. મૃતક થોડા દિવસથી બીમાર હતા અને શ્વાસની બીમારી હતી જેની દવાનો કેસ મળ્યો હતો. મૃતક પાસેથી મળેલા મોબાઈલ ફોનથી સગાને જાણ કરાઈ હતી. બીમારીના કારણે મૃત્યુ થયા બાદ કોઈ જનાવરોના કરડવાના નિશાન મળેલા છે. જે અંગે પોલીસે પેનલ તથા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે લાશને હળવદ સરકારી દવાખાનેથી મોરબી સરકારી દવાખાને લઈ જવા આવી હતી. મૃતકના દીકરા હળવદમાં જ રહે છે. જ્યારે ભાઈ જામનગર રહે છે. તેમને જાણ કરી આગળની કાર્યવાહી પોલીસે આરંભી છે.