Gujarat

નિવૃત શિક્ષકને ખોટું સોનું પધરાવી શખ્સ રૃા.9.50 લાખ ઓળવી ગયો

By GS TEAM
19 May 20262 mins read
નિવૃત શિક્ષકને ખોટું સોનું પધરાવી શખ્સ રૃા.9.50 લાખ ઓળવી ગયો

કાળીયાબીડના શખ્સે વૃધ્ધને ચેક આપ્યા હતા

ભાવનગર - કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ પાસે આવેલ શાંતિનગરના રહેતા અને નિવૃત શિક્ષકે કાળીયાબીડના શખ્સ સાથે ઓળખાણ થતા સોનુ ખરીદવા માટે રૃ.૯.૫૦ લાખ આપી સોનાના ઘરેણા મેળવ્યા હતા.શખ્સે નિવૃત શિક્ષકને નકલી સોનું પધરાવી રૃપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો.

શિક્ષકને પુત્રી માટે ઘરેણા લેવા હોય શખ્સે વ્યાજબી ભાવે સોનુ આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવી લીધો

કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ પાસે આવેલ શાંતિનગરના રહેતા અને નિવૃત શિક્ષક જયેન્દ્રસિંહ મહોબતસિંહ સરવૈયા નિવૃત થયા બાદ ક્રિપાલસિંહ રઘુભા ચુડાસમા (રહે.કાળિયાબીડ ભાવનગર) સાથે ઓળખાણ થઈ હતી અને જયેન્દ્રસિંહને પુત્રી માટે સોનાની જરૃરિયાત હોય ક્રિપાલસિંહને વાત કરતા ક્રિપાલસિંહએ કહેલ કે,મારે ઘણા બધા સોની મિત્રો છે.તેમની પાસેથી વ્યાજબી ભાવે સોનુ અપાવી દઈશ જેથી જયેન્દ્રસિંહએ વિશ્વાસમાં આવી સોનુ ખરીદવાની હા પાડી હતી.દરમિયાનમાં ગત તા.૧૮ ડિસેમ્બર ૨૦૨૩ માં ક્રિપાલસિંહનો ફોન આવેલ અને કહેલ કે ,પૈસા લઈને પાણીની ટાંકીએ આવી જાવ તેમ કહેતા જયેન્દ્રસિંહ રૃ.૨.૫૦ લાખ લઈને પાણીની ટાંકીએ જઈ રૃપિયા આપી દસ ગ્રામની સોનાની પાંચ બંગડી ક્રિપાલસિંહએ આપી હતી.તેમ કરી કટકે કટકે જયેન્દ્રસિંહએ ક્રિપાલસિંહને રૃ.૯.૫૦ લાખ આપ્યા હતા.અને તેના બદલામાં ક્રિપાલસિંહએ સોનાની બંગડી અને ઘરેણા આપ્યા હતા.તેવામાં જયેન્દ્રસિંહએ સોનીની દુકાને ઘરેણું ચેક કરાવતા તમામ ઘરેણું નકલી નિકવ્યું હતી.અને જયેન્દ્રસિંહએ ક્રિપાલસિંહને સમગ્ર હકીકત જણાવી રૃપિયા પરત આપવાની વાત કરતા ક્રિપાલસિંહએ વાયદાઓ કરી પૈસા પરત નહીં આપી જયેન્દ્રસિંહ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.અને ક્રિપાલસિંહ ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકના ચેક આપ્યા હતા.પરંતુ બેલેન્સ નહીં હોવાને કારણે રૃપિયા મળ્યા નહતા.આ બનાવ સંદર્ભે જયેન્દ્રસિંહએ શખ્સ વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લખાણમાં હાથ ઉછીના રૃપિયા આપ્યા છે તેવું લખાવ્યું

જયેન્દ્રસિંહએ ક્રિપાલસિંહ પાસે વારંવાર પૈસાની માંગણી કરી હોવા છતા રૃપિયા નહીં મળતા બંને કોર્ટની સામે વકીલની ઓફિસે લખાણ કરાવવા માટે ગયેલ, ત્યારે ક્રિપાલસિંહએ વાત કરેલ કે આપણે બંને એક જ સમાજના છીએ. તમો લખાણમાં મેં તમોને ખોટુ સોનુ આપ્યુ અને તમોએ મને રૃપિયા આપેલ તેવુ ન લખાવતા પરંતુ તમે મને હાથ ઉછીના રૃપિયા આપેલ છે. તેવું લખાવજો. નહીંતર મારી સમાજમાં આબરૃ જશે. હું તમોને તમારા રૃપિયા એક મહિનામાં આપી દઇશ.તેવો મને વિશ્વાસ આપ્યો હતો.અને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવ્યું હતું.