Get The App

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો 1 - image

આરોપી ડાયાલિસિસ પર હોય મુદ્દામાલની રિકવરીમાં અડચણ 

જેગડવા ગામે સ્વામિનારાયણ મંદિરમાં દાનના બહાને ૧૦૦ ગ્રામ સોનાની છેતરપિંડી કરી નાશી છૂટયો હતા

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા શહેરની સોની બજારમાં આવેલ નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશભાઈ આડેસરા સાથે વિશ્વાસઘાત કરી ૧૦૦ ગ્રામ સોનું પડાવી લેનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડયો છે. આ શખ્સે જેગડવા ગામે સ્વામિનારાયણ મંદિરના મહોત્સવમાં દાન આપવાના નામે વેપારીને વિશ્વાસમાં લીધો હતો.

ગત ૩૦ નવેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના ગલોલ ગામનો શૈલેષ ઉધાડ 'મહેન્દ્રભાઈ સાવલિયા'ની ખોટી ઓળખ આપી નીલકંઠ જ્વેલર્સ પર આવ્યો હતો. તેણે ૫૦ ગ્રામ સોનું મંદિરમાં દાન કરવા અને ૫૦ ગ્રામ અંગત વપરાશ માટે લેવાનું કહી કુલ ૧૦૦ ગ્રામ સોનાના દાગીના મેળવ્યા હતા. તેના બદલામાં તેણે ૧૩.૪૭ લાખનો ચેક આપ્યો હતો, પરંતુ ચેકમાં રકમ લખેલી ન હોવાથી વેપારીને છેતરપિંડીની શંકા ગઈ હતી. તપાસ કરતા આરોપીનો ફોન બંધ આવ્યો હતો અને તેનું સાચું નામ શૈલેષ છગનભાઈ હોવાનું ખુલ્યું હતું. આથી વેપારીએ તુરંત જ ધ્રાંગધ્રા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપી શૈલેષ ઉધાડને દબોચી લીધો હતો. 

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપી ગંભીર બીમારીથી પીડિત છે અને ડાયાલિસિસ પર નિર્ભર છે. પીએસઆઈ એ.કે. વાઘેલાએ જણાવ્યું કે, આરોપીની તબીબી સ્થિતિ અત્યંત નાજુક હોવાથી કસ્ટડી દરમિયાન પણ તેને સતત સારવાર આપવી પડી રહી છે. હાલ પોલીસ દ્વારા મુદ્દામાલની રિકવરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ તેજ કરવામાં આવી છે, જોકે આરોપીની તબિયત તપાસમાં મોટો અવરોધ બની રહી છે.