Gujarat

સાવરકુંડલામાં ગૌચર મામલે માલધારી સમાજનો મોરચોઃ રોષભેર સુત્રોચ્ચાર

By GS TEAM
12 Sep 20251 min read
સાવરકુંડલામાં ગૌચર મામલે માલધારી સમાજનો મોરચોઃ રોષભેર સુત્રોચ્ચાર

મામલતદાર કચેરીએ ધસી જઈને આવેદનપત્ર : પેશકદમીના કારણે 2000  વીઘા ગૌચર જમીન ઘટીને 200 વીઘા બચી હોવાનો ઘટસ્ફોટ : ધરણા આંદોલન છેડવાની ચીમકી

અમરેલી, : સાવરકુંડલા તાલુકાના સાવર અને સામાપાદર ગામની સીમમાં આવેલી ગૌચરણની જમીન પર ગેરકાયદેસર પેશકદમી દૂર કરવાની માંગણી સાથે માલધારી સમાજે મામલતદાર કચેરીએ ઉમટી પડીને આવેદનપત્ર આપી રોષભેર રજૂઆત કરી હતી. માલધારી સમાજના આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

માલધારી સમાજના જણાવ્યા મુજબ, સાવર-સામાપાદર ગામની સીમમાં આશરે 2000 વીઘા ગૌચરની જમીન આવેલી છે. જોકે, હાલમાં માત્ર 200 વીઘા જેટલી જ જમીન ખુલ્લી છે, જ્યારે બાકીની વિશાળ જમીન પર દબાણો અને પેશકદમી થઈ ગયા છે. આ કારણે પશુઓ માટે ચારો મેળવવો મુશ્કેલ બન્યો છે અને માલધારી સમાજની આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે. વધુમાં માલધારીઓએ જણાવ્યું હતું કે, આ ગૌચરણની જમીન ખુલ્લી કરાવવા માટે ધારાસભ્ય અને સાંસદ સહિત અનેક સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ પરિસ્થિતિથી કંટાળીને માલધારી સમાજે અંતે ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો.