Get The App

મુખ્યમંત્રીના આગમન પહેલાં જામનગર શહેરના અનેક વિસ્તારો અને માર્ગોની ભારે કાયા પલટ : મહાનગરપાલિકાનું તંત્ર ઉંધા માથે

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
મુખ્યમંત્રીના આગમન પહેલાં જામનગર શહેરના અનેક વિસ્તારો અને માર્ગોની ભારે કાયા પલટ : મહાનગરપાલિકાનું તંત્ર ઉંધા માથે 1 - image


Jamnagar : જામનગર શહેરની મુલાકાતે આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે ત્યારે મુખ્યમંત્રીના આગમનથી લઈને તેઓના રોકાણ સુધીના તમામ રૂટ પર જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ઊંધા માથે થઈને કામે લાગ્યું છે. સમગ્ર રોડ રસ્તા પર નવા કલર કામ કરીને સાફ સુથરા અને ચમકતાઝ ચોખ્ખા ચણક બનાવાઈ રહ્યા છે, ત્યારે જામનગર વાસીઓ પોકારી ઊઠયા છે, કે "ભલે પધારજો મુખ્યમંત્રી" આપના આગમનને લઈને અમારું જામનગર સાફ સુથરુ બની રહ્યું છે.

જામનગરના એરપોર્ટથી લઈને ટાઉનહોલ સુધીના માર્ગે, ઉપરાંત સંભવિત કાર્યક્રમને અનુરૂપ શરૂ સેક્શન રોડ, કલેક્ટર કચેરી, તેમજ જામનગરના ગુલાબનગર સહિતના રોડ પર યુદ્ધના ધોરણે દિવસ અને રાત સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે. જેના માટે જામનગર મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર ઊંધા માથે થયું છે.

ગૌરવ પથ માર્ગ પરની રેલિંગ તાત્કાલિક અસરથી તૂટી ગઈ હોય, ત્યાં નવા સાંધા મારીને ઉપરથી રંગ રોગન કરી દેવામાં આવી રહ્યું છે, અને જ્યા રોડ પર ખાડા ખડબા હોય, અને નગરની પ્રજા રોજ ટીચાતી હોય ત્યાં ડામર પાથરીને નવા રોડ રસ્તા ઉભા કરી દેવાય છે. જ્યારે ક્યાંક નડતર રૂપ સ્પીડબ્રેકરોને ગાયબ કરી દેવામાં આવ્યા છે, અને તાત્કાલિક અસરથી ડામર પાથરીને ઇમરજન્સી પેવર રોડ પણ બની રહ્યા છે. મુખ્યમંત્રીના રૂટ વાળા માર્ગે ગઈકાલથી એક પણ પ્રકારનું જાહેરાતનું હોર્ડિંગ, બોર્ડ વગેરેના દબાણો હટી ગયા છે, અને સમગ્ર માર્ગ ખુલ્લો બન્યો છે.

મુખ્યમંત્રીના આગમન પહેલાં જામનગર શહેરના અનેક વિસ્તારો અને માર્ગોની ભારે કાયા પલટ : મહાનગરપાલિકાનું તંત્ર ઉંધા માથે 2 - image

ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ચુંટાયેલા પદાધિકારીઓ અને કેટલાક સ્ટાફ વગેરેની ભલામણને લઈને જાહેર માર્ગો પર અનેક સ્થળે રેકડી-કેબીન પથારા, મંડપ સામીયાણા વગેરે ખડકાયેલા રહે છે, પરંતુ મુખ્યમંત્રીના આગમનને પગલે આવા તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાવી દઇ સમગ્ર રસ્તાને સાફ સુથરા બનાવી દેવાયા છે. ઉપરાંત આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ઉઠાવી લઈ રસ્તો ખુલ્લો બનાવ્યો છે. કે જાણે નગરજનો માટે નવી સુવિધા પ્રાપ્ત બની ગઈ હોય, અને રેકડી વગેરેના જંગલો થી પણ મુક્તિ મળી રહી છે.

જામનગર શહેરમાં  સમયાંતરે વીઆઇપીઓનું આગમન થતું હોય છે, ત્યારે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવી હંગામી સાફ સફાઈ કરવામાં આવે છે, અને ટૂંકા સમય માટે નગરજનોને પણ આવી બધી સુવિધાનો લાભ મળે છે. જેથી રાજ્યના મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમને પણ શહેરીજનો સહર્ષ આવકાર આપી રહ્યા છે.

Tags :