ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન
Godhara Train News : ગુજરાતભરમાં કાલે વરસાદનું ભારે જોર રહ્યું. ત્યારે પંચમહાલના ગોધરાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ભારે વરસાદને પગલે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી.
શું હતો મામલો?
લૉકો પાઈલટની સમયસૂચકતાને પગલે આ દુર્ઘટના ટળી ગઈ હતી. રેલવે ટ્રેકનું ધોવાણ થયું હોવાની માહિતી મળતાં જ તેમણે ગોધરાથી આણંદ તરફ જતી મેમુ ટ્રેન અટકાવી દીધી હતી. આ ટ્રેન પછી ટીંબા રેલવે સ્ટેશને લગભગ એક કલાક સુધી રોકી રાખવામાં આવી હતી.
એક કલાક સુધી હેરાનગતિ...
રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી ઝડપથી રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ કરવામાં આવતા ફરીવાર ટ્રેન સંચાલન શરૂ થઈ શક્યું હતું. ટ્રેનમાં સવાર એક મુસાફરે જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે લગભગ એક કલાકથી વધુ સમય સુધી ટ્રેન અટવાઈ ગઇ હતી. જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા.