અમદાવાદમાં મોટી દુર્ઘટના, ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી, એક મહિલાનું દટાઈ જતાં મોત
Ahmedabad House Collapse: અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ઓળખ ગણાતા કોટ વિસ્તારના ધનાસુથારની પોળમાં બુધવારે ભારે પવનના કારણે મોડી રાત્રે બે માળનું મકાન ધારાશાયી થયું હતું, જેમાં બે મહિલા કાટમાળ નીચે દટાઈ હતી. જેમાંથી એક મહિલાને રેસક્યુ કરીને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવાયું
શું હતી ઘટના?
શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ધનાસુથારની પોળમાં બુધવારે (28 મે) મોડી રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. લગભગ રાતના 2 થી 3 વાગ્યાની આસપાસ એક બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં બે મહિલાઓ કાટમાળમાં દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ એક વૃદ્ધાને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે, અન્ય એક 30 વર્ષીય મહિલાનું કાટમાળમાં જ મોત થઈ જતાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
AMCની બેદરકારી?
મળતી માહિતી મુજબ, AMC દ્વારા અગાઉ જર્જરિત મકાન વિશે તપાસ કરવામાં આવી હતી પરંતુ, કોઈ કાર્યવાહી કરવામાં નહતો આવી. આ બે માળનું મકાન ખૂબ જ જૂનું હતું અને ખાસા સમયથી જર્જરિત થઈ ગયું હતું. નોંધનીય છે કે, બુધવારે અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન રાત્રે મકાન પડવાની ઘટના સામે આવી હતી. AMC દ્વારા ઘટના બની ગયા બાદ મકાન જર્જરિત હોવાની નોટિસ લગાવવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલે સ્થાનિકોએ કોર્પોરેશન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોળમાં અન્ય પણ આવા જર્જરિત મકાન ઉપસ્થિત છે, જે વિશે તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે.