Mahisagar News : મહીસાગર જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાત બાદ પણ વિવાદ શાંત પડ્યો નથી. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યા બાદ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા તાલુકાના બોરીયા, ચારી, મોર, ઉંડારા, ખૂટખર, કોઠા, આસુંદરિયા અને જુનાખેડા સહિતના પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો સમાવેશ નવીન રચાયેલા ગોધર તાલુકામાં કરવામાં આવ્યો છે. જોકે, આ ગામોના લોકોનો સ્પષ્ટ મત છે કે તેમને શહેરા તાલુકો નજીક પડે છે. શહેરા તાલુકામાં રહેવાથી સરકારી કચેરીઓ નજીક પડતી હોવાથી ગામનો વિકાસ થઈ રહ્યો છે અને વહીવટી સરળતા રહે છે.
આ 10 ગામોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમને ગોધરને બદલે શહેરા તાલુકામાં જ સમાવેશ કરવો જોઈએ.
ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જો તેમની માંગણી સ્વિકારવામાં નહીં આવે અને તેમને શહેરા તાલુકામાં પરત સમાવેશ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ વિરોધને કારણે જિલ્લા વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે.


