VIDEO | સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahashivratri 2026 : સુરત સહિત સમગ્ર વિશ્વમાં શિવરાત્રિ દરમિયાન ઘીના કમળ ચઢાવવાનો મહિમા સદીઓથી ચાલતો આવ્યો છે અને હવે શિવરાત્રિ નજીક આવી રહી છે તેમ-તેમ સુરતમાં ઘીના કમળ બનાવનારા કલાકારો સૌથી વ્યસ્ત જોવા મળે છે. શિવજીને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાની કળા ઘણી જ મુશ્કેલ છે તેથી આવા કલાકારોની સંખ્યા ઓછી છે અને કમળની સંખ્યા વધુ હોવાથી આવા કલાકારોની ડિમાન્ડ સતત વધી રહી છે.
શહેરમાં આવા નિષ્ણાત કલાકારોની સંખ્યા ઓછી છે, જ્યારે માગ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને મોટા શિવ મંદિરોમાં વિશાળ આકારના કમળની માગ રહેતી હોવાથી કલાકારોને સતત ઑર્ડર મળતા રહે છે. ઘણા પરિવારોમાં પેઢી દર પેઢી આ કળા જીવંત રાખવામાં આવી છે.

સુરતના કલાકારે શું કહ્યું?
સુરતના પાલનપોર વિસ્તારમાં ઘીના કમળ બનાવવાનું કામ કરતા સુરેશ કોરપે કહે છે કે, "શિવરાત્રિમાં મહાદેવજીને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાની કળા સરળ નથી. પ્રથમ તબક્કામાં શુદ્ધ ઘીને ધીમા તાપે ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને તાંબા કે પિત્તળના વાસણમાં ઠારવા માટે મૂકી દેવામાં આવે છે. રાત્રિ દરમિયાન ઘી સંપૂર્ણપણે થીજી જાય છે. બીજે દિવસે તે થીજી ગયેલા ઘીને ખાસ માપ અને કળાથી કાપીને કમળનો આકાર આપવામાં આવે છે. એક નાની ભૂલ પણ આખું કમળ બગાડી શકે છે, તેથી આ કામ માટે વર્ષોનો અનુભવ જરૂરી છે."
આ ઘીના કમળ પર પેઇન્ટિંગ સૌથી મુશ્કેલ ભાગ છે, આ કલરમાં ઘી પણ ઉમેરવામાં આવે છે. જેના કારણે લાંબા સમય સુધી કમળ પર પેઇન્ટિંગ જોવા મળે છે. છેલ્લા 20 વર્ષથી ઘીના કમળ બનાવવાનું કામ કરે છે. જોકે છેલ્લા ઘણાં સમયથી ઘીની ક્વોલિટીમાં સમસ્યા આવી રહી છે, તેથી કમળ બનાવવા ઘીમાં થોડું મીણ ઉમેરવું પડી રહ્યું છે.
આ ઉપરાંત જે રૂમમાં ઘી બનાવવામા આવે છે તે રૂમનો પંખો સતત ચાલુ રાખવો પડે છે અને વધુ ગરમી ન આવે તેની કાળજી પણ રાખવી પડે છે.








