- શિવજીની આરાધનામાં ઓળઘોળ શિવ ભક્તોની શિવાલયો ખાતે દર્શનાર્થે લાંબી કતારો
આજે મહાશિવરાત્રિ છે. શહેર-જિલ્લાના શિવાલયો 'બમ બમ ભોલે...'ના નાદથી ગૂંજી ઉઠ્યા છે. અને આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી મંદિરો 'બમ બમ ભોલે...', 'હર હર મહાદેવ...' ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારથી શિવાલયો ખાતે દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે શિવરાત્રી. આ મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. શિવાલયોમાં મહાશિવરાત્રી હોવાથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. ચાર પ્રહરની પૂજા, અભિષેક, શિવમહિમ્ન સ્તોત્ર, ભજન કીર્તન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો ઠેરઠેર યોજવામાં આવ્યા છે. તો શ્રદ્ધાળુઓ ભાંગનો પ્રસાદ લઇને શિવજીની આરાધના પણ કરી રહ્યા છે. મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. શિવરાત્રી તો દર મહિને આવે છે. પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. ખાસ કરીને મહાશિવરાત્રી પર્વે કરનાળી ખાતે આવેલા શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિરે વહેલી સવારે 4:00 કલાકથી રાત્રીના 11:00 સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. સાથે જ લઘુરુદ્ર હોમનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સાંજે 5:00 કલાકે નગરયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રીથી અમાસ પણ શરૂ થતી હોઇ, ભક્તો માટે મંદિરમાં દર્શન ખુલ્લા રહેનાર છે.

રણમુક્તેશ્વર મહાદેવથી આજે બપોરે ધામધૂમથી શિવજી કી સવારી નીકળશે
પરંપરા અનુસાર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે શિવજી કી સવારીનું પ્રસ્થાન થશે. સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ સૂરસાગર તળાવ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. બીજી તરફ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમાને સોનેથી મઢવાની કામગીરી કાર્યરત છે.


