Gujarat

દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ

By GS TEAM
24 May 20261 min read
દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ

શહેરના ખાસવાડી સ્મશાનના નવીનીકરણ દરમિયાન દશપિંડ વિધિ માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ સાથે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોએ મ્યુનિ. કોર્પોરેશન તથા સત્તાપક્ષ સામે વિરોધ નોંધાવ્યો હતો.

ખાસવાડી સ્મશાનમાં આજે સમાજના લોકો હાથમાં ‘કામગીરી વહેલી તકે પૂર્ણ કરો’ તેમજ ‘તંત્ર ઘોર નિંદ્રામાં’ જેવા પ્લેકાર્ડ સાથે એકત્ર થઈ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રીયન સમાજમાં અંતિમવિધિ બાદ દશપિંડ વિધિનું વિશેષ મહત્વ છે અને ખાસવાડી સ્મશાનમાં આ વિધિ માટે અલગથી વ્યવસ્થા હતી. વર્ષ ૨૦૨૩ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂા.૧૫ કરોડના ખર્ચે સીએસઆર ફંડથી સ્મશાનના નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ હતી.

તે સમયે દશપિંડ વિધિ માટે અલગ જગ્યા ન ફાળવાતા સમાજમાં ભારે વિરોધ ઉઠયો હતો. ત્યારબાદ સત્તાપક્ષ દ્વારા યોગ્ય જગ્યા ફાળવવાની બાહેધરી આપવામાં આવતા મામલો શાંત પડ્યો હતો.

પરંતુ હાલમાં સ્મશાનના નવીનીકરણની કામગીરી ૯૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે દશપિંડની વિધિના સ્થળે બાંધકામની કામગીરી શરુ કરાઈ નથી, જેથી સમાજના લોકોને દશપિંડ વિધિ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમાજના આગેવાનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રામધૂન બોલાવી મ્યુનિ. કોર્પોરેશને જગાડવા વિરોધ કરી કામગીરીમાં ઝડપ લાવી વહેલી તકે સુવિધા આપવાની માગ ઉઠાવી છે.