Gujarat

માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો

By GS TEAM
13 Aug 20251 min read
માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો

શ્રાવણ માસના તૃતિય સોમવારે

રાધા-કૃષ્ણ મંદિરો સહિત ગ્રામ્યમાં હિંડોળા મહોત્સવની પૂર્ણાહુતિ ઃ મંદિરોમાં જન્મામી પર્વની તૈયારીઓ શરૃ

માંડલપવિત્ર અને પાવનકારી શ્રાવણ માસની અંદર હવે ભગવાન શ્રીકૃષ્ણ મહોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે અને આ પવિત્ર માસ સમાપન તરફ આગળ વધશે. માંડલ નગરના મૃત્યુંજય મહાદેવ મંદિર, પરાવાસના દુધેશ્વર મહાદેવ મંદિર તેમજ ગ્રામ્યમાં વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરોમાં શ્રાવણ માસના તૃતિય સોમવારે પુષ્પ,કઠોળની રંગોળીઓ, વિવિધ દ્રવ્યોથી ભગવાનનો મહાઅભિષેક અને મહાપુજા કરાઈ હતી.

કોટેશ્વર મહાદેવ અને મૃત્યુંજય મહાદેવ મંદિરમાં સંધ્યા સમયે શીવલીંગ ઉપર ભવ્ય દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. શિવાલયોમાં રાત્રીએ મહાઆરતી યોજાઈ હતી આ પ્રસંગે ખુબજ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો. એવીજ રીતે બીજી બાજુ નગર અને ગ્રામ્યના કૃષ્ણમંદિરો,રામજી મંદિર,સ્વામિનારાયણ મંદિરોમાં સોમવારને શ્રાવણ વદ-૨ (બીજ)ના રોજ વિવિધ વસ્તુઓ સાથે ભગવાનના હિંડોળાની સજાવટ કરી હતી અને એક માસ દરમ્યાન મંદિરોમાં દરરોજ અવનવી વસ્તુઓના હિંડોળા મનોરથ યોજાયો, ભજન-કિર્તન સાથે માતા-બહેનો ઝુમી ઉઠી અને હિંડોળા મહોત્સવની પુર્ણાહુતિ કરવામાં આવી આ સાથે હવે સાતમ-આઠમના પર્વો નજીક હોવાથી મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવણીની પણ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.