'માં' અમૃતમ કે વાત્સલ્ય કાર્ડમાં સારવારનો લાભ લેવામાં નિયમોની નડતી આંટીઘૂંટી
- આયુષ્યમાન ભારતનાં કાર્ડમાં ડેટા ટ્રાન્સફરમાં થતો વિલંબ
- નવા રોગોની સારવાર અને નિયમોમાં થતા ફેરફારની જાણકારી આપવામાં તંત્ર નિષ્ફળ
રાજકોટ, તા. 18 ફેબ્રૂઆરી 2021, ગુરૂવાર
હોસ્પિટલનાં ખર્ચા સતત વધી રહયા છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સોૈથી વધુ ઉપયોગી એવા માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડનાં નવા નિયમોની આંટીઘુંટી એવી છે કે સામાન્ય લોકો તેમાં અટવાતા હોવાથી આ યોજના હેઠળ સારવાર કરવાથી વંચિત રહી જાય છે પરિણામે મોટી રકમનાં હોસ્પિટલનાં બિલ ચૂકવવાનો વારો આવતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. આરોગ્ય તંત્ર છેલ્લા લગભગ ૧૧ મહિનાથી કોરોનાની કામગીરીમાં જ વ્યસ્ત હોવાથી નવા નિયમોની યોગ્ય જાણકારી લોકો સુધી પહોંચાડી શકયુ ન હોવાથી સારવાર માટે લોકોને હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રનાં ધકકા ખાવા પડી રહયા છે.
કોરોનાને કારણે તાલુકાનાં કેન્દ્રો પર કાર્ડ રિન્યુની કામગીરી ખોરંભે,ઈમરજન્સીમાં દર્દીઓ પરેશાન
રાજય સરકારની 'માં 'અમૃતમ કાર્ડ અને ત્યાર બાદ ૪ લાખની આવકની મર્યાદા ધરાવતા લોકોને માં વાત્સલય કાર્ડ કાઢી આપવામાં આવે છે. રાજયમાં આ યોજના માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે લાખો કાર્ડ ધારકો છે. દરમિયાન કેન્દ્ર સરકારે આયુષ્યમાન કાર્ડની યોજના જાહેર કરી હતી. રાજય અને કેન્દ્રની આ બંને યોજના મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ 'માં 'કાર્ડ અને વાત્સલય કાર્ડનાં ડેટા આયુષ્યમાન ભારત યોજનામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે મોટાભાગનો ડેટા ટ્રાન્સફર થઈ ગયો છે પરંતુ જેમનાં કાર્ડની મુદત પુરી થઈ ગઈ છે તેમનો ડેટા ટ્રાન્સફર કરવો પડે છે.
રાજય સરકારની માં કાર્ડ અને વાત્સલ્ય કાર્ડની યોજનામાં પરિવાર દિઠ એક જ કાર્ડ અપાતુ હોય છે અને આયુષ્યમાન કાર્ડમાં દરેક વ્યકિતનુ અલગ અલગ કાર્ડ હોય છે. હાલ પરેશાની એ છે કે ઈમરજન્સીમાં સારવાર માટે કોઈ દર્દી હોસ્પિટલમાં જાય અને માં કાર્ડ કે વાત્સલ્ય કાર્ડ બતાવે તો તરત જ હોસ્પિટલવાળા કહે છે આયુષ્યમાન કાર્ડમાં ડેટા ટ્રાન્સફર થયો હશે તો સારવારમાં લાભ મળશે. હવે ઈમરજન્સીમાં આવેલા દર્દી પાસે કોઈ પુરા ડોકયુમેન્ટ હોતા નથી આ મામલે દર્દીનાં સગા અને હોસ્પિટલવાળા સાથે ઘર્ષણનાં બનાવો વધી રહયા છે.
આવી સ્થિતિમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડ માગવામાં આવે છે. આ ડોકયુમેન્ટ હોસ્પિટલમાં આપવામાં આવે ત્યાર બાદ અપલોડ કરીને ડેટા ટ્રાન્સફર કરવા માટે મંજૂરી માગવામાં આવે છે એ મળે પછી પ્રક્રિયા શરૂ થાય છે તેમાં સમય લાગે છે ઈમરજન્સી વખતે દર્દી અને તેમના પરિવારજનો ખુબ પરેશાની વેઠી રહયા છે. કાર્ડ રિન્યુ ન થયુ હોય તો કેટલીક હોસ્પિટલો કેસ હાથમાં પણ લેતી નથી. આરોગ્ય વિભાગ સામાન્ય લોકોને આ યોજનાઓમાં કેટલા નવા ડિસીઝને આવરી લેવાયા છે અને નવી કઈ હોસ્પિટલોને સામેલ કરી છે તેની સરળ રીતે માહિતી મળે તેવા કોઈ પ્રયાસો કર્યા નથી પરિણામે લોકોનાં કચેરી અને હોસ્પિટલનાં ધકકા વધી રહયા છે. કોરોનાને કારણે તાલુકાઓનાં કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કઢાવવા કે રિન્યુ કરવાની કામગીરી ખોરંભે પડી છે. કાર્ડ રિન્યુ કરાવવા ઓન લાઈન પોર્ટલ ઉપયોગી નથી થતુ રૂબરૂ જે તે વોર્ડ કે તાલુકામાં જ કરાવવુ પડે છે. આરોગ્ય વિભાગનાં અધિકારીઓનાં જણાંવ્યા મુજબ એપ્રિલથી આયુષ્યમાન કાર્ડનો ડેટા કમ્પલીટ થઈ જાય પછી ફરિયાદો નહિ રહે.