૧૨૩.૨૨ કરોડના નલ સે જલ કૌભાંડમાં સૌથી વધુ ગેરરીતિ લુણાવાડા તાલુકામાં
લુણાવાડાના હડમતીયા ગામમાં પાઇપ લાઇન નાંખી જ નહીં છતાંય પેમેન્ટ થઇ ગયું
લુણાવાડા મહિસાગર જિલ્લાના ભ્રષ્ટ અધિકારીઓએ ખોટા બિલ અને દસ્તાવેજો બનાવી માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવી કરોડો રૃપિયા ચાઉં કરી લીધા હતા. ૧૨૩.૨૨ કરોડના કૌભાંડમાં સૌથી વધુ ગેરરીતિ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં થઇ હોવાનું બહાર આવ્યું છે.
મહિસાગર જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત ૬૨૦ ગામોમાં પીવાના પાણીની પાઇપ લાઇન, કૂવા, ટયૂબવેલ વગેરેની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૃપિયા ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના વોટર સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો) ના કેટલાક અધિકારી અને કર્મચારીઓએ એજન્ટ અને ખાનગી કંપનીને લાભ થાય તે માટે ખોટા બિલ અને હિસાબોના આધારે સરકારને અંદાજીત ૧૨૩.૨૨કરોડનું નુકસાન કર્યુ હતું. જે અંગે વાસ્મોેના યુનિટ મેનેજર ગિરીશભાઇ અમરિષભાઇ અગોલાએ સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં કુલ ૧૨ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લાના ૭૧૪ ગામ પેકી ૬૨૦ ગામોમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, સૌથી વધુ ગેરરીતી અને કૌભાંડ લુણાવાડા તાલુકામાં થયું છે. લુણાવાડા તાલુકાના હડમતીયા ગામમાં તો કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પાઇપ લાઇન નાંખવામાં આવી જ નહતી. તેમછતાંય તેનું પેેમેન્ટ થઇ ગયું હતું. આ ઉપરાંત ઘર દીઠ કનેક્શનો પણ ઓછા દર્શાવવામાં આવ્યા છે. સી.આઇ.ડી. ક્રાઇમમાં ગુનો દાખલ થતા આરોપીઓ બચવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
સરકારી અધિકારીઓને ૧૨૩.૨૨કરોડમાંથી કેટલા મળ્યા તેની તપાસ
રથયાત્રા હોઇ તપાસ અધિકારી બંદોબસ્તમાં વ્યસ્ત
વડોદરા,
કોન્ટ્રાક્ટરને ખોટા બિલના આધારે પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું. તેમાં સરકારી અધિકારીઓને કેટલી રકમ મળી હતી. તે અંગે પણ સી.આઇ.ડી.દ્વારા તપાસ કરવામાં આવશે.
કરોડો રૃપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓ અને આઉટ સોર્સિંગના સ્ટાફને કેટલા રૃપિયા મળ્યા છે. તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરોપીઓના બેન્ક એકાઉન્ટની વિગતોની ચકાસણી કરવામાં આવશે. તેમજ તેઓએ કેટલી મિલકતો વસાવી છે. તેની પણ તપાસ થશે.સી.આઇ.ડી.ક્રાઇમમાં નોંધાયેલા ગુનાની તપાસ ગાંધીનગર સી.આઇ.ડી.ના ડીવાય.એસ.પી. એ.એમ. પટેલ કરી રહ્યા છે. પરંતુ, હાલમાં રથાયાત્રાનો બંદોબસ્ત ચાલુ હોઇ તપાસમાં કોઇ પ્રગતિ થઇ નથી. ઉલ્લેખનીય છે કે, સી.આઇ.ડી.ક્રાઇમમાં મંથર ગતિએ જ તપાસ થતી હોય છે. અગાઉ પણ નોંધાયેલા કેમિકલ કંપની સાથેની ઠગાઇના ગુનામાં આરોપીઓની ધરપકડ બાકી છે.