Get The App

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ 1 - image

- ડિસેમ્બરના 18 દિવસમાં કમળાના 243 કેસથી લોકોમાં ભયનો માહોલ

- આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર રોગચાળો કાબૂમાં લેવામાં નિષ્ફળ : શાળાઓમાં હાથ ધોવા માટે પણ પાલિકાનું પાણી નહીં વા૫રવા શિક્ષણ વિભાગે લેખિત પરિપત્ર જારી કર્યો

બાલાસિનોર : બાલાસિનોરમાં બે મહિનાથી વકરેલા કમળાના રોગચાળાને કાબૂમાં લેવામાં આરોગ્ય વિભાગ અને નગર પાલિકા તંત્ર નિષ્ફળ રહેતા ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. ડિસેમ્બર મહિનાના માત્ર ૧૮ દિવસમાં જ કમળાના ૨૪૩ કેસ સામે આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે સ્વીકાર્યું છે. બીજી તરફ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા બાલાસિનોરની તમામ ર૬ આંગણવાડી અસ્થાયી સમય સુધી બંધ કરી દેવાની ફરજ પડી છે. આ ઉપરાંત નાની-મોટી તમામ શાળાઓમાં પાલિકાના પાણીનો પીવા કે હાથ ધોવા માટે ઉપયોગ નહીં કરવાનો સત્તાવાર પરિપત્ર શિક્ષણ વિભાગે કરવો પડયો છે.

બાલાસિનોરમાં આમ તો ગત સપ્ટેમ્બર માસથી જ ધીમે ધીમે પાણીજન્ય રોગચાળો કમળાના કેસ સામે આવવા માંડયા હતા. પરંતુ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા તંત્રએ આ બાબતને ગંભીરતાથી નહીં લેતા હવે સ્થિતિ બેકાબૂ બની છે. મળતી વિગતો અનુસાર ચાલું મહિના ડિસેમ્બરમાં સામે આવેલા ૨૪૩ કેસ પૈકી ૪૦ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યારે બે લોકોના શંકાસ્પદ મોત થયા છે. કમળાના કારણે આ મોત થયા હોવાનું લોકો માની રહ્યા છે. આટલી ગંભીર સ્થિતિને ધ્યાને લઇને જિલ્લા પંચાયતની આઇસીડીસી શાખાએ અગત્યનો પરિપત્ર જારી કરીને નવી સૂચના ન મળે ત્યાં સુધી અસ્થાયી સમય માટે બાલાસિનોરના તમામ ૨૬ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની સૂચના આપી છે. તેમજ સવારે અને બપોરે બાળકોને આપવામાં આવતો નાસ્તો શુદ્ધ પાણીમાંથી બનાવીને ઘરે ઘરે પહોંચાડવાની સૂચના પણ પરિપત્રમાં અપાઇ છે.

બીજી તરફ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ એક પરિપત્ર જારી કરીને બાલાસિનોર શહેરની તમામ ખાનગી, સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક સહિતની બધી શાળાઓમાં નગરપાલિકાના પાણીથી પાણીજન્ય રોગો થતા હોય આ પાણીનો પીવા માટે કે, મધ્યાહ્ન ભોજન માટે વપરાશ નહીં કરવાની તાકિદ કરી છે. એટલું જ નહીં, બાળકોને હાથ ધોવા માટે પણ આ પાણીનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. બાલાસિનોરમાં કમળાની વકરેલી સ્થિતિનો સાચો ચિતાર આંગણવાડી અને શાળાઓ માટે સત્તાવાર રીતે જારી કરાયેલા આ બંને પરિપત્રોમાં જ મળી જાય છે. આમ છતાં હજી સુધી આરોગ્ય વિભાગ કે નગર પાલિકા તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યું હોય તેવું લોકોને લાગતું નથી.

બે બાળકના શંકાસ્પદ મોતના કારણની તપાસ ચાલી રહી છે ; આરોગ્ય વિભાગ

બાલાસિનોરની કથળેલી સ્થિતિ અંગે આરોગ્ય વિભાગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલિયાએ જણાવ્યું છે કે, ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે. બાલાસિનોરની આશરે ૨૫ હજારની વસતી રોગચાળાથી અસરગ્રસ્ત છે. ડિસેમ્બર મહિનામાં ૨૪૩ કેસ કમળાના સામે આવ્યા છે. જેમાથી ૪૦ દર્દીને દાખલ કરાયા હતા. આ પૈકી ૩૫ને રજા આપી દેવામાં આવી છે. હાલ ૩૬ જેટલી ટીમો દ્વારા બાલાસિનોરમાં ફરીને રોગચાળાને કાબૂમાં રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. બે બાળકોના શંકાસ્પદ મોત અંગે એક્સપર્ટની ટીમ તપાસ કરી રહી છે. જેના અભિપ્રાય બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

નગરપાલિકાએ પાણીના ફક્ત 16 સેમ્પલ લીધા, તેમાં પણ 7 અનફીટ

બાલાસિનોર નગર પાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલએ આ અંગે જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાથી ફરિયાદો આવવાનું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પાણીની લાઇનના ૩૬ લીકેજીસ રિપેર કર્યા છે. પાણીના ૧૬ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૭ અનફીટ આવ્યા છે. આ પૈકી નગર પાલિકાના પાણીના તો માત્ર ચાર જ હતા. હાલમાં નગર પાલિકા દ્વારા આરોગ્ય વિભાગ અને પાણી-પુરવઠા વિભાગ સાથે મળીને શાળાઓના બોરમાંથી પાણીના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. શહેરમાં અત્યારે કમળાના ૧૫-૧૭ એક્ટિવ કેસ છે.