Gujarat

પેટલાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા

By GS TEAM
28 Jun 20252 mins read
પેટલાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા

- રણછોડજી મંદિરેથી બપોરે 1 વાગ્યે 99 મી રથયાત્રા નીકળી

- રથયાત્રામાં 3 રથ, 1 પાલખી, 30 ભજન મંડળીઓ, બે ડીજે અને ઘોડાગાડી જોડાયા અખાડિયન, વિવિધ વેશભૂષા સાથે જોડાયેલા બાળકો મુખ્ય આકર્ષણ રહ્યા

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં ૯૯મી રથયાત્રા રણછોડજી મંદિરેથી વાજતે ગાજતે નીકળી હતી. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પેટલાદમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. બપોરે ૧ વાગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથ સાથે પ્રસ્થાન કરેલી રથયાત્રા નગરચર્યા કરી સાંજે નિજમંદિર પરત ફરી હતી.

પેટલાદ ખાતે પૌરાણિક પાંડવ તળાવ સામે રણછોડરાય મંદિરેથી ૧૯૩૭માં પ્રથમ રથયાત્રા નીકળી હતી. શરૂઆતના વર્ષોમાં રથયાત્રા હાથી ઉપર સવારીરૂપે નીકળતી હતી. ત્યારે પેટલાદ ખાતે હાલ રથયાત્રા ભાવિક ભક્તો અને સ્વયંસેવકો પોતાના હાથથી ત્રણેય રથ ખેંચીને સમગ્ર શહેરમાં ફરે છે. ત્યારે અષાઢી બીજને શુક્રવારે પેટલાદના રણછોડજી મંદિરેથી ૯૯મી રથયાત્રાનું બપોરે ૧ વાગ્યે પ્રસ્થાન કરાયું હતું. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ સાથે લાલજી મહારાજની પાલખી પણ રથયાત્રામાં સામેલ હતી. ૩૦ જેટલી ભજન મંડળીઓ, ૩ રથ, ૧ પાલખી, ૨ ઘોડાગાડી, ૨ ડીજે, વેશભૂષા, નૃત્ય કલાકારો, અખાડા તેમજ ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. સમગ્ર રથયાત્રામાં મહિલા મંડળોએ રણછોડરાયના ભજનોની રમઝટ બોલાવી હતી. 

પેટલાદમાં દર વર્ષની જેમ રણછોડજી મંદિરેથી ટાઉન હોલ, સરદાર ચોક, સ્ટેશન રોડ, જેત્રાના વડ, કાળકામાતા મંદિરે રથયાત્રા ગઈ હતી. જ્યાં મહંતે પૂજા આરતી કરી હતી. ત્યારબાદ રથયાત્રા કાળકાગેટ થઈ નરસિંહજી મંદિરે પહોંચતા ત્યાં પણ પૂજન- અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યાંથી પઠાણવાડા, ખલીફાચોક, વાળંદની ખડકી, ચોક્સી બજાર, અંબામાતા મંદિર, ટાવર, ચાવડી બજાર, નાગરકુવા, છીપવાડ, લીંબાકુઈ, હનુમાન ફળીયા, ગાંધી ચોક, ચાવડી બજાર ત્યારબાદ નવાપુરા થઈ સાંજે નિજમંદિરે પરત ફરતા રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન કરાયું હતું.