ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત ફર્યા, રથયાત્રા પહેલા આંખે પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ યોજાઈ
અમદાવાદમાં આગામી 20મી તારીખે 146મી રથયાત્રા યોજાશે
રથયાત્રાને લઈને ભક્તોને ભારે ઉત્સાહ જોવા મળ્યો
Image : Official website |
અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે રથયાત્રાને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રથયાત્રા પોલીસના કડક બંદોબસ્ત વચ્ચેથી પસાર થશે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે ભગવાન જગન્નાથ મામાને ઘરેથી મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.
ભગવાન મંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી
અમદાવાદમાં આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાશે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામને મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. આજે મંદિરમાં 15 દિવસ બાદ મામાના ઘરેથી ભગવાન મંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે. સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવી હતી. આ વિધિ મુજબ જ્યારે ભગવાન મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. જેને પગલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે.
વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
આજે જમાલપુર નિજ મંદિરે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારબાદ ભગવાનની નેત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિ બાદ જગન્નાથજીના મંદિરે ધ્વજારોહણની વિધિ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિખેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શહેરના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આજે નેત્રોત્સવ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાનના કપાટ ખૂલતાંની સાથે જ જય રણછોડ, માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે ભગવાન મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ બાદ પ્રથમવાર મહાઆરતી ઉતારવામાં આવી હતી.