Get The App

ભાવેણાંની ભક્તિના ભવસાગરમાં ભાવથી ભીંજાયા જગન્નાથ ભગવાન

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
ભાવેણાંની ભક્તિના ભવસાગરમાં ભાવથી ભીંજાયા જગન્નાથ ભગવાન 1 - image


- જય જગન્નાથના નાદ સાથે ભાવનગરમાં 40 મી રથયાત્રા નિકળતા લોકોમાં ઉત્સાહનો માહોલ 

- ભગવાન જગન્નાથજીની યાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવાયો, ભગવાન જગન્નાથ, ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની 18 કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ નિકળ્યાં 

ભાવનગર : દર વર્ષની પરંપરા મુજબ દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની મોટી ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રા આજે શુક્રવારે અષાઢી બીજના પાવન દિવસે ભાવનગર શહેરમાં કાઢવામાં આવી હતી. રથયાત્રાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય જગન્નાથના નાદ સાથે લોકો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા હતાં. ભગવાનના દર્શન કરવા અને રથયાત્રા નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લાખો લોકોએ રથયાત્રાના દર્શન કર્યા હતા અને સાંજે રથયાત્રા મંદિરે પહોંચી હતી. 

ભાવનગર શહેરમાં આજે શુક્રવારે અષાઢી બીજના દિવસે સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૪૦મી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની મંગળા આરતી કર્યા બાદ સાધુ-સંતો, મહંતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિંદ વિધિ કરાઈ હતી. બાદ માજી સૈનિક સંગઠન દ્વારા બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપીને ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ઐતિહાસિક રથયાત્રાનું ધર્મમય માહોલમાં પ્રસ્થાન થયું હતું. રથયાત્રાના પ્રારંભથી પુર્ણાહૂતિ સુધી 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે..'ના ગગનભેદી નાદ ગુંજતા રહ્યા હતા. ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. ૧૪ બ્રહ્માંડના નાથના પાવન દર્શન કરવા સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકો સુભાષનગર ખાતે ઉમટી પડયા હતાં. 

રથયાત્રા ઘોઘાગેટ ખાતે પહોંચી ત્યારે હડકેઠાઠ ભીડ વચ્ચે રથયાત્રાને સુરક્ષિત રીતે પસાર કરાવવા પોલીસ, આર્મીના જવાનો એક્શન મોડમાં આવી ગયા હતા. ભારે ઉત્તેજના વચ્ચે આખરે સંવેદનશીલ વિસ્તાર ખારગેટ, મામાકોઠા રોડ, બાર્ટન લાઈબ્રેરી અને હલુરિયા ચોક ખાતે ભગવાનનો રથ પહોંચ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હતો. હલુરિયાથી આગળ ધપી રથયાત્રા ક્રેસંટ સર્કલ, ડોનચોક, મહિલા કોલેજ થઈ સુભાષનગર નીજ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં સંતો-મહંતો અને આગેવાનોએ ધર્મસભાને સંબોધન કર્યું હતું. તેની સાથે નારાયણની ૪૦મી નગરચર્યાનું નિર્વિઘ્ને સમાપન થયું હતું. કોઈપણ અનિચ્છનિય બનાવ બન્યા વિના કોમી એખલાસ અને ભાઈચારા સાથે રથયાત્રાનું સમાપન થતાં પોલીસ અને વહીવટી તંત્રએ રાહત થઈ હતી.  

જગન્નાથજી રથયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરાયુ 

જગન્નાથજી રથયાત્રા જેમ જેમ આગળ ધપતી ગઈ તેમ તેમ રથયાત્રા રૂટ પર વિવિધ મંડળો, આગેવાનો દ્વારા જગતના નાથનું અદકેરૂ સ્વાગત કરાયું હતું. ૧૮ કિ.મી.ના નિયત રૂટ પર ભક્તજનો દ્વારા ચા-પાણી, ગુંદી, શિરો, ચણા, બિસ્કીટ, સરબત, છાશ, દૂધ કોલ્ડ્રીક્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોના દ્વારે દર્શન દેવા નીકળેલા ભગવાનના દર્શન કરવા ભાવિકો કલાકો સુધી આતૂરતાથી રાહ જોઈ બેઠા હતાં. રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ર જીપ, ૨૦  ટ્રેકટર, ૧૫ છકરડાઓ, ર હાથી, ૬ ઘોડા સાથે લોકો જોડાયા હતાં. દુર્ગાવાહીની, બજરંગદળના અખાડાઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્નાસ્ટીક, સ્કેટીંગના દાવો તથા બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.  

રાસમંડળીઓએ રસ-ગરબાની રમઝટ બોલાવી 

ભાતીગળ પહેરવેશમાં સુસજજ રાસમંડળીઓ દ્વારા માર્ગમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા અને ડી.જે. સાઉન્ડ સિસ્ટમના સંગાથે ભકિતગીતોની રમઝટ બોલાવી હતી. સામાજિક, ધાર્મિક સંસ્થાઓના ફલોટસ આકર્ષણ બની રહ્યા હતાં. શ્રેષ્ઠ ફલોટ તેમજ વેશભૂષાધારીઓને નિર્ણાયક કમિટિઓ દ્વારા ઈનામોથી નવાજવામાં આવ્યા હતાં. આ ઉપરાંત દેવદેવીઓના વેશભુષાધારીઓ, મીની ટ્રેન, નટખટ વાનર વગેરેએ આકર્ષણ જમાવ્યુ હતું. રથયાત્રાની આગળ આગળ ઈન્સ્ટન્ટ રંગોળીઓ બનાવવામાં આવી હતી. આજના આ અવસરને અનુલક્ષીને રથયાત્રાના માર્ગો પર રપ હજારથી વધુ નાની-મોટી ધજા, પતાકા, સુશોભિત કમાનો, દેવ-દેવીઓના કટઆઉટસ મુકાતા તે ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. 

Tags :