Gujarat

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા, ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવની મોરી ખાતેથી મળ્યા હતા

By GS TEAM
5 Feb 20262 mins read
TukuTouch Logo
ભારત અને શ્રીલંકા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવની મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકા લાવવામાં આવ્યા છે. શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા, ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવની મોરી ખાતેથી મળ્યા હતા

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવની મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકા લાવવામાં આવ્યા છે. શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

રાજ્ય સન્માન સાથે ભવ્ય સ્વાગત

ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા આ પવિત્ર અવશેષો કોલંબો પહોંચ્યા હતા. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ, શ્રીલંકા સરકાર દ્વારા અવશેષોને 'પૂર્ણ રાજ્ય સન્માન' સાથે આવકારવામાં આવ્યા હતા. આ યાત્રામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ પણ સામેલ રહ્યું હતું.


રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા ઉદ્ઘાટન

4 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોના પ્રખ્યાત ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ પવિત્ર અવશેષોના પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ ડૉ. કિરીડે અસાજી થેરો અને શ્રીલંકા કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનના ભાગરૂપે ગંગારામાયા મંદિર ખાતે "પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ" અને "પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી" નામના બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં

પ્રથમ વખત ભારતની બહાર પ્રદર્શન

નોંધનીય છે કે, દેવનીમોરી અવશેષોના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે તેમને જાહેર પૂજા માટે ભારતની બહાર લાવવામાં આવ્યા હોય. અગાઉ ભારતે 2012માં કપિલવસ્તુ અને 2018માં સારનાથના અવશેષો શ્રીલંકા મોકલ્યા હતા. પ્રદર્શનના ભાગરૂપે મંદિરમાં બે વિશેષ એક્ઝિબિશન પણ યોજાયા છે.

આજથી જાહેર જનતા માટે દર્શન ખુલ્લા

પરંપરાગત બૌદ્ધ વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરાયેલા આ અવશેષો આજે, 5 ફેબ્રુઆરીથી સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. શ્રીલંકા અને વિશ્વભરમાંથી આવતા બૌદ્ધ અનુયાયીઓ ભગવાન બુદ્ધના આ પવિત્ર અંશના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.

શાંતિ અને મિત્રતાનો સંદેશ

આ આયોજન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ રાજદ્વારી દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનું છે. ભગવાન બુદ્ધના કરુણા અને અહિંસાના ઉપદેશો ભારત અને શ્રીલંકા વચ્ચેના 'નેબરહુડ ફર્સ્ટ' (Neighborhood First) સંબંધોને વધુ ગાઢ બનાવશે.