Gujarat

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે

By GS TEAM
26 Mar 20261 min read
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા  જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને  આપવો પડશે

  અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026

અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર સહિતના અન્ય વોર્ડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ફલેટ સહિતની સ્કીમમા રહેતા લોકોએ ભીનો અને સુકો કચરો અલગ કરીને ડોર ટુ ડોરની ગાડીમા આપવો પડશે.દસ દિવસની અંદર જો લોકો કચરો અલગ કરીને નહીં આપે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો લેવાનુ બંધ કરવાની ચિમકી આપવામા આવી છે.

અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરવામા આવી રહયા છે. જેમા એક પ્રયાસ લોકોને ભીનો અને સુકો કચરો અલગ કરીને તેમની સોસાયટી કે રહેઠાણ નજીક આવતી ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની ગાડીમા આપવાની બાબતને લઈને પણ કરવામા આવી રહયો છે. આમ છતાં શહેરના મોટાભાગના ઝોનમાં હાલમા પણ ખુબ ઓછી માત્રામા ભીના અને સૂકા કચરાને અલગ કરીને નાગરિકો આપી રહયા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર, શ્યામલ ઉપરાંત જુહાપુરા,બોપલ, પ્રહલાદનગર, આનંદનગર ઉપરાંત એસ.જી.હાઈવે સુધીના વિસ્તારોમા રહેતા નાગરિકોને દસ દિવસનુ અલ્ટિમેટમ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોન તરફથી અપાયુ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.