વડોદરામાં તાજિયા વિસર્જન માટે તાંદલજા ખાતે કૃત્રિમ તળાવ બનાવવા સામે સ્થાનિકોનો વિરોધ
Vadodara : વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ તળાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં મુસ્લિમનો પવિત્ર તહેવાર મોહરમ શરૂ થયો છે. જે બાદ તાજીયા બેસાડવામાં આવે છે જે 5 દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જિત કરવામાં આવે છે. તાંદલજાના તાજીયા વડોદરા શહેરના સરસીયા તળાવ ખાતે ઠંડા (વિસર્જન) કરવા લઈ જવામાં આવે છે. જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કુત્રિમ તળાવ બનાવવાનું સૂચન આપ્યું હતું તેનો અમલ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જે બાદ આજ઼રોજ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈ પત્રકાર સોસાયટીના એલઆઈજી ખાતેના મેદાનમાં કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટિમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીંના રહીશોએ જણાવ્યું હતું કે, જે મેદાન પર તળાવ બનાવવામાં આવી રહ્યું છે ત્યાં નીચે વરસાદી ગટર પણ નાખેલી છે. તેથી પાણી જતું રહેવાનું છે તો તળાવ બનાવવાની જરૂર ક્યાં રહી? આ સાથે આ સમગ્ર રેસીડેન્સ વિસ્તાર છે, કાલ ઊઠીને કોઈ નાના બાળકો ડૂબી જશે અથવા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની બનશે ? અમને તાજીયા ઠંડા કરવા હશે તો સરસિયા તળાવ અથવા ગામમાં અન્ય તળાવ છે ત્યાં જઈને વિસર્જિત કરીશું.