જોરાવરનગરમાં પાણીના સંપ પાસે પાણી પ્રશ્ને સ્થાનિકોનો હલ્લાબોલ
પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી
અનિયમીત-અપૂરતું પાણી મળતા મેઈન બજાર, લાયબ્રેરી રોડ, રામજી મંદિર, સુભાષ રોડ સહિતના વિસ્તારના લોકો ભેગા થયા
સુરેન્દ્રનગર - જોરાવરનગર શહેરી વિસ્તારમાં અનિયમીત અને અપૂરતું પાણી વિતરણ કરવામાં આવતા રાતના સમયે સ્થાનિક રહિશો અને મહિલાઓ જોરાવરનગર પાણી વિતરણ સંપ પર એકત્ર થયા હતા અને પાણીની સમસ્યા અંગે હલ્લાબોલ કર્યો હતો. આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
જોરાવરનગર શહેરી વિસ્તારમાં આવેલ અનેક વિસ્તારોમાં મનપા તંત્ર દ્વારા હાલ ચાર થી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સ્થાનિક મહિલાઓ અને રહિશોને મુશ્કેલી પડી રહી છે. જોરાવરનગર મેઈન બજાર, લાયબ્રેરી રોડ, રામજી મંદિર વિસ્તાર, સુભાષ રોડ સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા વિકટ બની રહી છે જે અંગે સ્થાનીક રહિશોએ અનેક વખત મનપા તંત્રને રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા રોષે ભરાયેલા મહિલાઓ અને રહિશો ચાલીને રેલી સ્વરૃપે જોરાવરનગર વિસ્તારમાં આવેલ પાણીના સંપ ખાતે એકત્ર થયા હતા અને રાત્રીના સમયે પાણી મુદ્દે હલ્લાબોલ કર્યો હતો. આ તકે સ્થાનીક મહિલાઓના જણાવ્યા મુજબ અગાઉ એકાંતરે પાણી મળતું હતં પરંત મનપા તંત્રની બેદરકારીના કારણે હાલ ચાર થી પાંચ દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે તેનો પણ કોઈ ચોક્કસ સમય ન હોવાથી મહિલાઓને ઘરના તમામ કામો છોડી પાણીની રાહ જોવી પડે છે.