4 માસ સિંહોને માનવીની ખલેલ નહીં રહે : પ્રવાસીઓથી ઉભરાતું ગીર સૂમસામ
રવિવારે બપોરની જંગલ સફારી પૂર્ણ થયા બાદ : સફારીના દરવાજા પર્યટકો માટે તા. 16 ઓક્ટોબર સુધી બંધ થઈ ગયા
જૂનાગઢ, : દર વર્ષે ચોમાસાના ચાર મહિના જંગલની સફારીઓ બંધ રાખવામાં આવે છે. આજે બપોરની સફારી પૂર્ણ થયા બાદ સફારીના રસ્તા પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જંગલના સિંહ સહિતનાં પ્રાણીઓને ચાર માસ પ્રવાસીઓની ખલેલ વગર કુદરતી રીતે વિહરવા મળશે. સિંહ જોવા માટે દેશ- વિદેશના પ્રવાસીઓ સાસણની જંગલ સફારી, જૂનાગઢની ગિરનાર સફારી અને હવે નવી શરૂ થયેલી પોરબંદરની બરડાની જંગલ સફારી કરે છે. હવે ચોમાસા દરમ્યાન પર્યટકોને સાસણના દેવળીયા સફારી પાર્ક, ધારીના આંબરડી સફારી પાર્ક અને ઝૂમાં સિંહ જોઈને સંતોષ માનવાનો રહેશે.
સિંહ સહિતના મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ ચોમાસામાં હોવાથી ચાર માસ માટે જંગલની સફારી બંધ રાખવામાં આવે છે. સિંહ સહિતનાં વન્યપ્રાણીઓને મેટીંગ દરમ્યાન ખલેલ ન પહોંચે તે માટે વનતંત્ર દ્વારા આ નિર્ણય અમલમાં મુકેવામાં આવે છે. આ ઉપરાંત જંગલમાં પાકા રોડ ન હોવાથી ચોમાસાની સિઝનમાં ખૂબ મોટી મુશ્કેલીઓ સર્જાય તેવી સ્થિતિ હોય છે. રેવન્યુ વિસ્તાર કરતાં ગીરમાં વધુ વરસાદ પડવાથી જંગલના તમામ રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે. આવી સ્થિતિના કારણે જંગલમાં વાહન ચલાવવું જોખમી બની જાય છે.
કાયમી પ્રવાસીઓથી ધમધમતું સાસણ ગીર ચાર માસ માટે સૂમસામ જેવું બની જાય છે. સાસણની આસપાસ આવેલી સેંકડો હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પણ પ્રવાસીઓની સંખ્યા નહીવત જેવી હોય છે. જંગલ સફારી ચોમાસાના કારણે બંધ રાખવામાં આવતી હોવાથી પ્રવાસીઓ માટે સફારી પાર્ક ખુલ્લા રાખવામાં આવે છે, ત્યાં પણ ભારે વરસાદ થાય તો સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. ચોમાસું પૂર્ણ થયા બાદ વનતંત્ર દ્વારા જંગલના રસ્તાઓ રિપેર કરી તા.16 ઓક્ટોબરથી તમામ જંગલ સફારીઓ શરૂ કરવામાં આવે છે. દર વર્ષે સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે જંગલ અને સિંહો પર માનવનું અતિક્રમણ વધતું જાય છે પરંતુ ચોમાસામાં સિંહ અને જંગલ માનવ ખલેલ વગર કુદરતી રીતે કાર્યરત રહે છે.