Get The App

લીલિયા-સાવરકુંડલા રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવતા સિંહ બચી ગયો

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
લીલિયા-સાવરકુંડલા રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવતા સિંહ બચી ગયો 1 - image


લોકો પાયલોટની સતર્કતાથી દુર્ઘટના ટળી  : ઇમરજન્સી બ્રેક લગાવી માલગાડીને રોકી દીધી, : વિક્ટર નજીક નેશનલ હાઇ-વે પર સિંહોની લટાર : વાહન વ્યવહાર થંભી ગયો

અમરેલી, : લીલિયા-સાવરકુંડલા રેલવે ટ્રેક પર મોટો અકસ્માત ટળ્યો હતો. માલગાડીના લોકો પાયલોટની સતર્કતાને કારણે એક સિંહ ટ્રેનની હડફેટે આવતા બચી ગયો હતો.

લીલિયા-સાવરકુંડલા રેલવે ટ્રેક પર માલગાડી પસાર થઇ રહી હતી ત્યારે માલગાડીના લોકો પાયલોટે રેલવે ટ્રેક પર એક સિંહને બેઠેલો જોયો. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડીને રોકી દીધી હતી. આ દરમિયાન નજીકમાં હાજર વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સને પણ એલર્ટ કરવામાં આવ્યા હતાં. બાદમાં સિંહ ટ્રેક પરથી ખસી જતા ફોરેસ્ટ ટ્રેક્ટર દ્વારા ચકાસણી બાદ ટ્રેન આગળ વધારવામાં આવી હતી.

જ્યારે રાજુલાના વિક્ટર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર કેટલાક સિંહો અચાનક આવી ચડયા હતાં. સિંહોને રોડ પર જોઇને વાહનચાલકો વાહનો થંભાવી દીધા હતા. આ ઘટનાને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક સર્જાયો હતો. જો કે સિંહો થોડા સમય બાદ હાઇવે છોડીને આસપાસનાં વિસ્તારમાં પરત ફરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. ઉલ્લેખનીય છે કે સિંહો દ્વારા શિકારની શોધમાં નેશનલ હાઇવે ક્રોસ કરવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. અગાઉ પણ વન્યપ્રાણીઓના વાહન હડફેટે મોત થયાના બનાવો સામે આવ્યા છે. જેના કારણે સિંહોની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉભા થયા છે. 

Tags :