ગઢડામાં કાળઝાળ ગરમીમાં છાસવારે વિલન બનતી વીજળી
- પીજીવીસીએલની બેદરકારીથી લોકો ત્રાહિમામ
- ચોવીસ કલાક વીજળીનો દાવો પોકળ, વીજકાપ માટે રવિવારનો દિવસ રાખવા માંગણી
પીજીવીસીએલ દ્વારા ચોમાસા પહેલા અકસ્માત સર્જે તેવા લટકતા અને જર્જરિત વાયરના ઝોળાનુ સમારકામ, જે તે વિસ્તારમાં ફયુઝ પેટીઓની તપાસ, વીજભાર અનુસાર ટ્રાન્સફોર્મરની વ્યવસ્થા અને સમારકામ જેવી બાબતો માટે પ્રિ મોન્સુન કામગીરી સમયસર કરવાની રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગઢડામાં વિજળીના ધાંધિયા શરૂ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ચાલુ વર્ષે લાંબા સમય સુધી ચાલુ રહેલી ગરમી અને ભયંકર ઉકળાટના વાતાવરણમાં દિવસે અને રાત્રે અચાનક વિજળી જવાથી બાળકો, વૃદ્ધો, બીમાર અને અશક્ત લોકો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ત્યારે અવાર-નવાર વરસતા વરસાદ અને વાવાઝોડાના સમયમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર વીજતંત્રની તાજેતરમાં કયારેક ઉપર લેવલના કારણે તેમજ કયારેક સ્થાનિક કક્ષાએ થતા પ્રોબ્લેમના કારણે છેલ્લા કેટલાક સમયથી કથળી ગયેલી પરિસ્થિતિનુ વિજ તંત્ર દ્વારા યોગ્ય રીતે જરૂરી સમસ્યાનુ નિરાકરણ કરવામાં આવે અને જરૂરી વિજકાપ સિવાયના દિવસોમાં એકધારો વિજ પુરવઠો મળી રહે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. ઉપરાંત વિજવિભાગ દ્વારા મેઈન્ટેનન્સ માટે જરૂર હોય ત્યારે શુક્રવારના દિવસે સવારથી બપોરે મોડે સુધી વિજકાપ રાખવામાં આવતો હોય છે. પરંતુ શુક્રવાર સરકારી અને ખાનગી ઓફિસ ધંધા માટે શરૂ દિવસ હોવાથી લાંબો સમય સુધી વિજળીના અભાવે બેંકો અને સરકારી કચેરીઓ સહિતમાં જનરેટરના અભાવે અને ઈન્વર્ટરની સમય મર્યાદાના કારણે કોમ્પ્યુટર અને કનેક્ટીવીટીના આધારે થતા અરજદારોના જરૂરી કામો ટલ્લે ચડતા હોય છે. ત્યારે વિજકાપ માટે હિરા ઉદ્યોગ સહિતના સાથે જરૂરી સંકલન હાથ ધરી જાહેર રજાના દિવસ રવિવારે વિજકાપ રાખવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.