આજે જેઠ સુદ બીજના રાત્રીના આકાશમાં વીજળી થાય તો બોતેરૂં નીકળે તેવી શકયતા
ખેડૂતો રાત્રીના આકાશ પર મીટ માંડશે જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય તેવું ખેડૂતોનું અનુમાન
જૂનાગઢ, : કાલે તા. 21ના જેઠ સુદ-બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય તો બોતેરૂ કાઢે તેવી શકયતા હોય છે. એટલે ચોમાસાના 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય. મોટાભાગના ખેડૂતો જેઠ સુદ બીજના દિવસે રાત્રીના સમયે આકાશ પર નજર રાખીને બેસે છે કેમ કે, આવનારા ચોમાસાના એંધાણ નક્કી થતા હોય છે. જો આ દિવસે વીજળી થાય તો ખેતી પાકનું વાવેતર મોડું કરે છે અને જો વીજળી ન થાય તો સમયસર વરસાદ થાય તેવું માને છે.
ભારત એ ખેતીપ્રધાન દેશ છે. દેશનું મોટાભાગનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. ચોમાસા દરમ્યાન કેવો વરસાદ થાય તેની સૌકોઈને ચિંતા હોય છે. વરસાદનું અનુમાન કરવા માટેના અનેક પ્રયોગો છે. જેમાંનો એક જેઠ સુદ બીજના દિવસે ખુલ્લા આભમાં વીજળી થાય તો તેના પરથી વરસાદની સ્થિતી નક્કી થાય છે. જાણકાર ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઘણા ખેડૂતો જેઠ સુદ બીજના દિવસે આખી રાત ડુંગરા પર બેસી આકાશ પર મીટ માંડે છે. જો જેઠ સુદ બીજના દિવસે વિજળી થાય તો 72 દિવસ સુધી વરસાદ ન થાય અને જો વીજળી ન થાય તો સમયસર ચોમાસાનું આગમન થઈ જાય છે.
ઓણ સાલ ચોમાસું સારૂ રહે તેવા એંધાણો આગાહીકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ વખતે મગફળીનું બમ્પર વાવેતર થાય તેવી શકયતા જોવા મળી રહી છે. ખેડૂતો વાવેતર કરવા માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. જે ખેડૂતોને પાણીની સગવડતા હોય તે ખેડૂતો વર્ષ દરમ્યાન ત્રણ પાક લેતા થયા છે. જેઠ સુદ બીજના દિવસે રાત્રીના વરસાદના એંધાણ નક્કી કરી પાણી ધરાવતા ખેડૂતો દ્વારા ધીમે-ધીમે ઓરવીને વાવેતર કરવાની શરૂઆત થશે. હજુ જુજ ખેડૂતોએ જ ઓરવીને વાવેતર કરી દીધુ છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે ગણ્યાગાંઠયા ખેડૂતોએ વાવેતર કર્યું હોય તેવા રિપોર્ટ આવી રહ્યા છે. જેના આધારે ટુંક સમયમાં આગોતરૂ વાવેતર કરનાર ખેડૂતોનો સર્વે શરૂ થશે.
ચોમાસાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરતા હોય છે. કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વખતે મગફળીનું વધુ વાવેતર થાય તેવી શકયતાઓ છે. જેઠ સુદ બીજની રાત્રીના આકાશી અનુમાન બાદ ટુંક સમયમાં જ પાણી વાળા વિસ્તારોમાં આગોતરા વાવેતર માટે ખેડૂતો દ્વારા સારા બિયારણની વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી એજન્સીઓ મારફત મળતા બિયારણો સમયસર અને હેરાનગતી વગર મળી જાય તો ખેડૂતો પ્રથમ પસંદગી તેની કરે છે. આમ, જેઠ સુદ બીજની રાત્રીના ખુલ્લા આભમાં વીજળી થશે કે કેમ ? તે જોવા માટે અનેક ખેડૂતો રાત્રીના સમયે આકાશ પર મીટ માંડીને બેસશે.