Liberation Day of Junagadh : આજે 9 નવેમ્બર, જૂનાગઢનો મુક્તિ દિવસ છે. સમગ્ર દેશે 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદીની ઉજવણી કરી, પરંતુ જૂનાગઢના લોકોએ 84 દિવસ પછી આ દિવસે સાચા અર્થમાં સ્વતંત્રતાનો શ્વાસ લીધો હતો. નવાબી શાસનના સ્મરણો આજે પણ શહેરની જૂની ઇમારતો અને રસ્તાઓ પર અકબંધ છે, પણ આઝાદીની ગાથાનો ઇતિહાસ વધુ ભવ્ય છે.
પાકિસ્તાન સાથે જોડાણનો નિર્ણય અને 'આરઝી હકૂમત'નો ઉદય
15 ઓગસ્ટ, 1947ના રોજ, જૂનાગઢના નવાબે ભૌગોલિક અને રાજકીય સ્થિતિની વિરુદ્ધ જઈને, જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણયને કારણે રાજ્યમાં અફડાતફડી મચી ગઈ અને લોકોએ હિજરત શરૂ કરી. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે, સરદાર વલ્લભભાઈ પટેલના છૂપા આશીર્વાદથી, તા. 25 સપ્ટેમ્બર, 1947ના રોજ મુંબઈ ખાતે 'આરઝી હકૂમત' (કામચલાઉ સરકાર)ની રચના કરવામાં આવી.

આ આરઝી હકૂમતના પ્રમુખ પદે ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધી હતા. તેમનું લક્ષ્ય જૂનાગઢને ભારત સાથે જોડવાનું હતું. જ્યારે ક. મા. મુન્શીએ જૂનાગઢની પ્રજાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી તેની સ્થાપનાની જાહેરાત કરી હતી
ઐતિહાસિક લશ્કરી વિજય
જરૂર પડ્યે લશ્કરી પગલાં લેવા માટે આરઝી હકૂમતે સેનાની રચના કરાઈ હતી. સેનાના સરસેનાપતિ પદે રતુભાઈ અદાણી હતા, જેમણે ગામડાંના લડાયક લોકોની ભરતી કરીને એક વ્યવસાયિક ફોજને ટક્કર આપે એવી વ્યૂહરચના અને પ્રચાર તંત્ર સાથેની સેના તૈયાર કરી. આ સેનાએ નવાબના કાયમી લશ્કર સામે અનેક અથડામણોમાં સફળતા મેળવી.
આ પણ વાંચો: વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ
આરઝી હકૂમતનું દબાણ એટલું વધ્યું કે નવાબ કરાચી ભાગી જવા મજબૂર બન્યા. નવાબના દિવાન ભુટ્ટો અને નાયબ દીવાન હાર્વે જોન્સને 7 નવેમ્બર, 1947ના રોજ શામળદાસ ગાંધી સાથે વાટાઘાટ કરી આખરે બિનશરતી શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. 9 નવેમ્બર, 1947ના રોજ ભારત સરકાર વતી પ્રાદેશિક કમિશનર નીલમ બૂચે જૂનાગઢનો વહીવટ સંભાળ્યો અને જૂનાગઢને આઝાદી મળી.
આઝાદ ભારતનું સૌપ્રથમ બેલેટ મતદાન
પાછળથી કોઈ આંતરરાષ્ટ્રીય સમસ્યા ન સર્જાય તે માટે, ભારત સરકારે જૂનાગઢની પ્રજાને ભારત કે પાકિસ્તાન સાથે જોડાણ કરવું છે, તે જાણવા માટે લોકમત લેવાનું નક્કી કર્યું. આઝાદ ભારતમાં સૌપ્રથમ વખત બેલેટ પેપરથી મતદાન જૂનાગઢમાં યોજાયું હતું. 20 ફેબ્રુઆરી, 1948ના રોજ યોજાયેલા મતદાનનો હેતુ જૂનાગઢ રાજ્યના લોકોએ ભારત કે પાકિસ્તાન કયો દેશ પસંદ કરવો? તે હતો. મતદારોની કુલ સંખ્યા 2,00,569 હતી, જેમાંથી ભારત સાથે જોડાવાની તરફેણમાં 1,90,870 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે પાકિસ્તાન સાથે જોડાવાની તરફેણમાં માત્ર 91 મત પડ્યા હતા.

લોકમતમાં પ્રજાએ નવાબના નિર્ણયને નકારી કાઢ્યો
લોકમતમાં જૂનાગઢની પ્રજાએ બહુમતીથી ભારત સાથે જોડાણનો ફેંસલો કરીને નવાબના નિર્ણયને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. મુસ્લિમ મતદારોમાંથી પણ મોટાભાગનાએ ભારતની તરફેણમાં મતદાન કર્યું હતું, જે વતનપ્રેમની ભાવના દર્શાવે છે. જૂનાગઢનો આઝાદી દિવસ માત્ર એક તારીખ નહીં, પણ સરદાર પટેલની કુશળતા, આરઝી હકૂમતના નાયકોનો સંઘર્ષ અને જૂનાગઢની પ્રજાના અડગ દેશપ્રેમનું પ્રતીક છે.

દેશના વિવિધ ભાગનો 'અલગ' સ્વાતંત્ર્ય દિવસ
જૂનાગઢની જેમ, ભારતનો કેટલાક એવા વિસ્તાર હતા જે 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયા ન હતા, જેમ કે...
જૂનાગઢ 9 નવેમ્બર, 1947એ આઝાદ થયું હતું
હૈદરાબાદ 17 સપ્ટેમ્બર, 1948 એ આઝાદ થયું હતું
દમણ અને દીવ 19 ડિસેમ્બર, 1961 એ આઝાદ થયું હતું
ગોવા 19 ડિસેમ્બર, 1961 એ આઝાદ થયું હતું


